26 October, 2024 08:00 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ભારત-ચીન સરહદ વિસ્તાર
ભારત અને ચીનની સરહદ પર આ મહિનાના અંત સુધીમાં બન્ને દેશની સેનાઓ સંપૂર્ણ રીતે પાછી હટી જશે અને એપ્રિલ-૨૦૨૦ પહેલાંની સ્થિતિ જેવી પરિસ્થિતિ બહાલ કરવામાં આવશે. પૂર્વી લદાખ સેક્ટરમાં ડેમચોક અને દેપસાંગ મેદાનોના બે સંઘર્ષના પૉઇન્ટ પરથી બન્ને દેશની સેનાના જવાનોની વાપસી શરૂ થઈ ગઈ છે. ૨૮ કે ૨૯ ઑક્ટોબર સુધીમાં ભારતીય અને ચીની સેના સંપૂર્ણ રીતે પાછી ફરી જશે. ગલવાનમાં સંઘર્ષ બાદ આ પૉઇન્ટ પર બન્ને દેશની સેનાઓ સામસામી આવી ગઈ હતી. ગલવાનમાં ભારતના વીસ સૈનિક શહીદ થયા હતા. આ સંઘર્ષ બાદ ભારતે સરહદ પર ૭૦,૦૦૦ જવાન, ૯૦ ટૅન્ક, સેંકડો કૉમ્બેટ વેહિકલો, સુખોઈ અને જૅગ્વાર ફાઇટર જેટ્સનો કાફલો ખડકી દીધો હતો. સેના પાછી હટાવી લેવાના મુદ્દે ગયા અઠવાડિયે કરાર થયા હતા.