આતંકવાદીઓના હાથમાં આવી શકે છે ઇન્સેક્ટ ડ્રોન

10 March, 2023 12:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બાયો ટેક્નૉલૉજીનો એટલો વિકાસ થયો છે જેને કારણે આતંકવાદીઓ ઘરમાં રહેલી માખી, મચ્છર અને ઇયળનો પણ શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકે છે

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

નવી દિલ્હી : નિષ્ણાતે આપેલી ચેતવણી મુજબ આતંકવાદીઓ વાઇરસથી ભરેલા ઇન્સેક્ટ ડ્રોન વડે બાયો વૉર શરૂ કરી શકે છે. ઑસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં રહેતા રાઇના મેકઇન્ટાયરે કહ્યું કે ‘માનવ માટે સૌથી મોટું જોખમ છે, કારણ કે આતંકવાદી જૂથના હાથમાં બોયો વેપન્સ આવી શકે છે.’ એનું કારણ છેલ્લા દાયકામાં બોયોટેક્નૉલૉજીમાં આવેલો સુધારો છે અને કોઈ પણ સજીવને લૅબમાં બનાવી શક્યા છે. જોકે તેના દ્વારા એક આધુનિક બાયોવેપન્સની દુનિયા પણ ખૂલે છે. આતંકવાદી જૂથો ૩ડી પ્રિન્ટ બાયોલૉજિકલ મટીરિયલ જેવા વાઇરસ પણ બનાવી શકે છે. વળી ઇન્સેક્ટ ડ્રોનની મદદથી તેઓ એને સમગ્ર વિશ્વમાં છોડી પણ શકે છે. હાલમાં આવી બાયોલૉજી લૅબ સમગ્ર વિશ્વનાં તમામ મુખ્ય શહેરોમાં છે. કોઈને પણ જાણ કર્યા વગર આવી લૅબને ચલાવી શકાય છે એને કારણે એ વધુ ચિંતાનો વિષય બને છે. 

વૈજ્ઞાનિકો થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીની મદદથી માનવપેશીઓ સાથે આખું હૃદય બનાવી શકે છે. એ પ્રમાણે કોઈ આતંકવાદીઓ માનવકોષો પર પ્રયોગ કરીને નવું હથિયાર બનાવીને એનો ઉપયોગ મોટી સંખ્યામાં માણસોને મારવા માટે કરી શકે છે. આ એક નવું ક્ષેત્ર છે જેની અગાઉ કોઈએ કલ્પના પણ કરી નહોતી. આપણા ઘરમાં રહેલાં માખી, મચ્છર અને ઇયળનો પણ હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય છે. આ જંતુઓ પછી કોઈ વ્યક્તિ કે પ્રાણીને કરડીને વાઇરસનો ફેલાવો કરી શકે છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝીઓએ મચ્છરનો જૈવિક શસ્ત્રો તરીકે ઉપયોગ કરવાનો વિચાર કર્યો હતો.

national news terror attack new delhi