Teesta Setalvad Bail: તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન, જાણો વિગત

02 September, 2022 05:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ પહેલાં બુધવારે સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને બે મહિનાથી વધુ સમય માટે જે રીતે કસ્ટડીમાં રાખવામાં આવી હતી

ફાઇલ તસવીર

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તિસ્તા સેતલવાડની 25 જૂને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના એનજીઓ સંબંધિત કેસના સંબંધમાં ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલા બે મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે. પોલીસે તેની 7 દિવસ સુધી પૂછપરછ પણ કરી છે. હાઈકોર્ટે 19 સપ્ટેમ્બરે જામીન પર સુનાવણી કરવાનું કહ્યું છે. આ દરમિયાન તેને વચગાળાના જામીન આપવા યોગ્ય છે. તે પાસપોર્ટ નીચલી કોર્ટમાં જમા કરાવે અને તપાસમાં સહકાર આપે.

આ પહેલાં બુધવારે સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને બે મહિનાથી વધુ સમય માટે જે રીતે કસ્ટડીમાં રાખવામાં આવી હતી, તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સવાલ કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટે જવાબ માગવા છ અઠવાડિયા પછી નોટિસ કેવી રીતે જારી કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં એવો કોઈ ગુનો નથી કે જેના માટે જામીન ન આપી શકાય, તે પણ એક મહિલાને. ન્યાયાધીશોએ કહ્યું કે તિસ્તા સેતલવાડ બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે અને હજુ સુધી કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી.

સુનાવણી દરમિયાન કોણે શું કહ્યું?

આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે માત્ર તિસ્તાના કેસમાં જ જામીન પરની નોટિસ બાદ હાઈકોર્ટે 6 અઠવાડિયા પછી સુનાવણી માટે સમય આપ્યો તે માનવું ખોટું છે. ગુજરાત હાઈકોર્ટમાં આ સામાન્ય પ્રક્રિયા છે. 3 ઑગસ્ટે, જે દિવસે તિસ્તાની અરજી પર નોટિસ જારી કરવામાં આવી હતી, ઘણા લોકોને સુનાવણી માટે વધુ સમય આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટને 19 સપ્ટેમ્બર પહેલા સુનાવણી માટે કહે છે અને પોતે જામીન ન આપે તો તે ખોટું ઉદાહરણ હશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારી સમજમાં આ મુદ્દાઓ કેસમાં મહત્વપૂર્ણ છે - અરજદાર મહિલા છે, 2 મહિનાથી વધુ સમયથી જેલમાં છે, આરોપો 2002થી 2012 વચ્ચેના છે અને પોલીસે 7 દિવસ સુધી પૂછપરછ કરી છે. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે “આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે અહીંથી જામીન ન મળવા જોઈએ. હાઈકોર્ટમાં જ સુનાવણી થવી જોઈએ. મહેતાએ એમ પણ કહ્યું કે તપાસ દરમિયાન ઘણા પુરાવા મળ્યા છે, જેનો એફઆઈઆરમાં ઉલ્લેખ નથી.”

national news supreme court