21 April, 2026 12:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં માર્ગ-સલામતી વધારવા માટે આખા ભારતમાં સુપ્રીમ કોર્ટે અનેક ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેમાં હાઇવે અને એક્સપ્રેસવે પર ભારે વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વહીવટી સુસ્તી અથવા માળખાગત ખામીઓને કારણે એક્સપ્રેસવે જોખમના કૉરિડોર ન બનવા જોઈએ એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
ન્યાયાધીશ જે. કે. મહેશ્વરી અને એ. એસ. ચાંદુરકરની બેન્ચે નિર્દેશ કર્યો હતો કે નૅશનલ હાઇવે ભારતની કુલ માર્ગ-લંબાઈના બે ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ તમામ માર્ગ-મૃત્યુના લગભગ ૩૦ ટકા માટે જવાબદાર છે.
ગાઇડલાઇન્સમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ હેવી કે કમર્શિયલ વાહન હાઇવેના કૅરેજવેમાં અથવા લે-બાય રેસ્ટ સ્ટૉપ સિવાય રસ્તાની બાજુએ પાર્ક કરાશે નહીં. આ ગાઇડલાઇન્સનો અમલ ઍડ્વાન્સ્ડ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ (ATMS) દ્વારા કરવામાં આવે.
રાજસ્થાનના ફલોદી અને તેલંગણના રંગારેડ્ડીમાં ૨૦૨૫ની બીજી અને ત્રીજી નવેમ્બરે થયેલા અકસ્માતોમાં ૩૪ લોકોએ જીવ ગુમાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાની જાતે આ વાતની નોંધ લઈને આ આદેશ આપ્યો હતો.