દેશમાં ૨૦૦+ ટોલ-પ્લાઝા પર કૌભાંડ, ભારતભરનાં ૧૪ સ્થળો પર EDના દરોડા

03 September, 2026 07:08 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભારતભરમાં ૨૦૦થી વધુ ટોલ-પ્લાઝા પર મોટા પાયે ટોલ-કૌભાંડની શંકાના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ED) ૧૪ સ્થળોએ દરોડા પાડ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

ભારતભરમાં ૨૦૦થી વધુ ટોલ-પ્લાઝા પર મોટા પાયે ટોલ-કૌભાંડની શંકાના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ED) ૧૪ સ્થળોએ દરોડા પાડ્યા હતા. છેતરપિંડીમાં ટ્રક માટે નકલી ફાસ્ટૅગ અને નકલી સૉફ્ટવેર દ્વારા ખોટી રસીદો બનાવવાનો સમાવેશ થાય છે, જેમાં સ્ટાફ અને ઑપરેટરોની સંડોવણીનો આરોપ છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ આવા ૧૦૦ શંકાસ્પદ પ્લાઝા છે, જેના કારણે દેશભરમાં તપાસ શરૂ થઈ ગઈ છે.

નૅશનલ હાઇવે ઑથોરિટી આ‍ૅફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ ટોલ-પ્લાઝા પર છેતરપિંડીથી થતી ટોલ-વસૂલાતમાં મની-લૉન્ડરિંગની તપાસના ભાગરૂપે EDએ ગઈ કાલે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, દિલ્હી-નૅશનલ કેપિટલ રીજન અને પશ્ચિમ બંગાળમાં લગભગ ૧૪ સ્થળોએ દરોડા પાડ્યા હતા. 

આરોપ છે કે ટોલ-રસીદો જનરેટ કરવા અને ટોલ-આવકને સત્તાવાર અકાઉન્ટિંગ સિસ્ટમની બહાર વાળવા માટે ગેરકાયદે સૉફ્ટવેર ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફૉરેન્સિક તપાસ અને NHAIના રેકૉર્ડ્સે આવા સૉફ્ટવેરના ઉપયોગની પુષ્ટિ કરી છે. દરોડાઓ ડિજિટલ અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા, લાભાર્થીઓને ઓળખવા અને ગુનાની આવક શોધી કાઢવા માટે પાડવામાં આવ્યા હતા.

national news india enforcement directorate indian government national highway