28 September, 2022 02:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી : આર્થિક રીતે નબળા વર્ગના (ઈડબ્લ્યુએસ) લોકોને સરકારી નોકરી અને ઍડ્મિશનમાં ૧૦ ટકા અનામત આપવાના ૧૦૩માં બંધારણના સુધારાની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
પાંચ જજની બેન્ચે ઈડબ્લ્યુએસ અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં એ પ્રશ્નની છ દિવસ સુનાવણી સાંભળી હતી. શિક્ષણકાર મોહન ગોપાલે ૧૩
સપ્ટેમ્બરે ઈડબ્લ્યુએસ અનામતના સુધારાને છેતરપિંડી અને અયોગ્ય ગણાવ્યો હતો.
તમિલનાડુએ પણ ઈડબ્લ્યુએસ ક્વોટા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ઍટર્ની જનરલ અને સૉલિસિટર જનરલે આ સુધારાનો બચાવ કરતાં કહ્યું હતું કે આ અનામત સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટેના ૫૦ ટકા અનામતને ખલેલ પહોંચાડ્યા વિના આપવામાં આવી હતી. બેન્ચ દ્વારા સમગ્ર બાબતે ત્રણ મુદ્દાઓની વાત કરી હતી, જેમાં બંધારણમાં કરવામાં આવેલા ૧૦૩મા સુધારાને મૂળભૂત માળખાનો ભંગ કહી શકાય. બીજો મુદ્દો એ હતો કે પ્રાઇવેટ સંસ્થાઓને આ વિશે વિશેષ જોગવાઈ કરવાનું કહીને મૂળભૂત માળખાનો ભંગ કરાવી શકાય. ત્રીજો મુદ્દો એ હતો કે એસસી, એસટી અને ઓબીસીને આપવામાં આવેલી
અનામત બંધારણનો એક ભાગ છે. ઈડબ્લ્યુએસ એમાં સુધારો સૂચવે છે, પરંતુ બંધારણના દરેક ભાગમાં સુધારો કરી શકાય નહીં.