15 July, 2026 08:35 PM IST | Odisha | Gujarati Mid-day Online Correspondent
પુરી રથયાત્રા 2026 માટે રિલાયન્સ ફાઉન્ડેશનની તૈયારીઓ
ભગવાન જગન્નાથજીની વિશ્વવિખ્યાત પુરી રથયાત્રા 16 જુલાઈથી શરૂ થઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચવાના છે. આવી સ્થિતિમાં યાત્રાળુઓને વધુ સારી સુવિધા મળે અને યાત્રા સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે રિલાયન્સ ફાઉન્ડેશને પુરી જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને `પુરી રથયાત્રા સેવા 2026` શરૂ કરી છે. આ પહેલ હેઠળ માત્ર યાત્રાળુઓ જ નહીં, પરંતુ પોલીસ, સ્વચ્છતા કર્મચારીઓ અને અન્ય ફ્રન્ટલાઇન સ્ટાફને પણ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.
રિલાયન્સ ફાઉન્ડેશન 15 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન અન્નસેવા ચલાવશે. રસોડામાં તૈયાર કરાયેલું તાજું સાત્વિક ભોજન અને સ્વચ્છ પીવાનું પાણી યાત્રાળુઓ તેમજ ફરજ પર રહેલા પોલીસ અને અન્ય કર્મચારીઓને આપવામાં આવશે. પુરીના ગ્રાન્ડ રોડ પર આવેલી ભોલાનાથ હાઈસ્કૂલમાં ખાસ ભોજન વિતરણ કેન્દ્ર પણ શરૂ.
આ વર્ષે રિલાયન્સે `ટૅક ફોર સેવા – GIS પ્લેટફૉર્મ` પણ તૈયાર કર્યું છે. આ ટૅકનોલૉજીની મદદથી સેવાકીય કામગીરીનું આયોજન, દેખરેખ અને મેદાનમાં કામ કરતી ટીમો વચ્ચેનું સંકલન વધુ અસરકારક બનશે.
રથયાત્રા દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને મંદિર તરફના મુખ્ય માર્ગો, ટ્રાન્ઝિટ પૉઇન્ટ, મેડિકલ ઝોન, મુખ્ય ચોક અને દરિયાકાંઠાના વિસ્તારો સહિત 50 કિલોમીટરથી વધુ વિસ્તારમાં લગભગ 90 પોલીસ એઇડ પોસ્ટ ઉભી કરવામાં આવશે.
લાંબા કલાકો સુધી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પાણી, ORS, નાસ્તો અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અંદાજે એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓને આ સુવિધાનો લાભ મળશે.
રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં સ્વયંસેવકો યાત્રાળુઓને માર્ગદર્શન આપશે. તેઓ લોકોને યોગ્ય રસ્તો બતાવવા ઉપરાંત ભીડ વ્યવસ્થાપન અને જરૂરી માહિતી આપવામાં પણ મદદ કરશે.
વધુ ભીડવાળા વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પુરી મ્યુનિસિપાલિટી સાથે મળીને સફાઈ કર્મચારીઓ અને સ્વયંસેવકોને કચરાની થેલીઓ અને સુરક્ષા માટેના ગ્લોવ્ઝ આપવામાં આવશે. સાથે જ આરોગ્ય, સ્વચ્છતા અને સલામતી અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.
રિલાયન્સ ફાઉન્ડેશનનું માનવું છે કે આ સમગ્ર પહેલથી રથયાત્રામાં આવનારા 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સરળ યાત્રાનો અનુભવ મળશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું કે, "માનવસેવા એ જ ઈશ્વરસેવા છે. લાખો શ્રદ્ધાળુઓ અને તેમની સેવા માટે દિવસ-રાત કામ કરતા કર્મચારીઓને મદદ કરવાનો અવસર અમારા માટે સૌભાગ્યની વાત છે. પોષણ, સુરક્ષા અને સ્વચ્છતા દ્વારા યાત્રાને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો અમારો પ્રયાસ રહેશે."
રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી પુરી રથયાત્રા દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે. અન્નસેવા, શુદ્ધ પીવાનું પાણી, તબીબી સહાય અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં સંસ્થા સતત યોગદાન આપી રહી છે. આ વર્ષે પણ રિલાયન્સ ફાઉન્ડેશનનું લક્ષ્ય માત્ર સેવા આપવાનું નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓ માટે રથયાત્રાને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવામાં વહીવટીતંત્રને સહયોગ આપવાનું છે.