28 March, 2024 08:28 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૦માં સ્વામી સ્મરણાનંદ મહારાજને મળ્યા હતા ત્યારની તસવીર.
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદ મહારાજનું મંગળવારે ૯૫ વર્ષની વયે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર બેલૂર મઠમાં કરવામાં આવ્યા હતા. સ્વામી સ્મરણાનંદ ૨૦૧૭માં રામકૃષ્ણ મિશનના ૧૬મા પ્રમુખ બન્યા હતા. તેમના નિધન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આદરણીય પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજે પોતાનું જીવન આધ્યાત્મિકતા અને સેવા માટે સમર્પિત કર્યું હતું. તેમણે અસંખ્ય લોકો પર અમીટ છાપ છોડી છે. તેમની કરુણા અને વિદ્વતા આવનારી પેઢીઓને પ્રેરિત કરતા રહેશે. મારો તેમની સાથે વર્ષોથી ખૂબ જ ગાઢ સંબંધ હતો. મને ૨૦૨૦માં બેલૂર મઠની મારી મુલાકાત યાદ છે, જ્યારે મેં તેમની સાથે વાતચીત કરી હતી. થોડાં અઠવાડિયાં પહેલાં હું તેમની તબિયત પૂછવા માટે કલકત્તાની હૉસ્પિટલમાં પણ ગયો હતો. મારી સંવેદના બેલૂર મઠના અસંખ્ય ભક્તો સાથે છે. ઓમ શાંતિ.’