09 February, 2026 07:11 PM IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય (X)
“અયોધ્યામાં રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરાયેલા 20 વર્ષીય આતંકવાદી આરોપી અબ્દુલ રહેમાનનું રવિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ ફરીદાબાદ જિલ્લા જેલમાં ધારધાર હથિયારથી હુમલો કર્યા બાદ મોત થયું હતું,” એમ એક અધિકારીઓએ જણાવ્યું હતું. રહેમાન પર એ જ જેલમાં બંધ કાશ્મીરી યુવાન અરુણ ચૌધરી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૌધરીએ રહેમાનના માથા પર ધારધાર હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. રહેમાનને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
આરોપીની ધરપકડ બાદ, કેન્દ્રીય અને રાજ્ય ગુપ્તચર એજન્સીઓએ કાવતરા સાથે જોડાયેલા સ્લીપર સેલ, સ્થાનિક સુવિધા આપનારાઓ અને લોજિસ્ટિકલ સપોર્ટને ઓળખવા માટે સંકલિત તપાસ શરૂ કરી. આ કેસને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો ખતરો માનવામાં આવી રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રહેમાનની હત્યાને પગલે જેલની અંદર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "હત્યા પાછળનું કારણ હજી સુધી અમને ખબર નથી પડી,". હુમલા તરફ દોરી જતી ઘટનાઓનો ક્રમ જાણવા માટે પોલીસ કેદીઓ અને સ્ટાફની પૂછપરછ કરી રહી છે.
ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના મિલ્કીપુરના રહેવાસી રહેમાનને 2 માર્ચ, 2025 ના રોજ ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા સંયુક્ત કાર્યવાહી દરમિયાન ફરીદાબાદના પાલી ગામ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પાસેથી મળેલા બે હૅન્ડગ્રેનેડને બાદમાં બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે રહેમાન ફરીદાબાદમાં નકલી ઓળખ સાથે રહેતો હતો અને ઑટોરિક્ષા ચલાવી અને એક નાના ભોજનાલયમાં કામ કરીને સ્થાનિક સમુદાયમાં ભળી ગયો હતો. તે શહેરની બહારના ભાગમાં એક એકાંત ટ્યુબવેલ ઘરમાં રહેતો હતો.
સુરક્ષા એજન્સીઓએ તેને અયોધ્યામાં રામ મંદિર અને ઉત્તર પ્રદેશમાં સરકરી ઇમારતો સહિત સંવેદનશીલ સ્થળોની જાસૂસી કરવાનું કામ સોંપાયેલ મુખ્ય ઑપરેટિવ તરીકે ચિહ્નિત કર્યો હતો. તેની ધરપકડ દરમિયાન જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણોમાં રામ મંદિર સાથે જોડાયેલા વીડિયો અને કોન્ટેન્ટ, સૂચનાઓ અને સૂચિત હુમલાની વિગતો સામેલ હતી. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે ગ્રેનેડ ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) સાથે સંકળાયેલા નેટવર્ક દ્વારા પાકિસ્તાનના ISI સાથે જોડાયેલા હેન્ડલર્સ દ્વારા મેળવવામાં આવ્યા હતા. જોકે હુમલાની કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી ન હતી, એજન્સીઓએ મૂલ્યાંકન કર્યું હતું કે આયોજિત હુમલો નિકટવર્તી હતો અને તેનાથી મોટા પાયે જાનહાનિ અને ગભરાટ ફેલાઈ શક્યો હોત.