05 May, 2025 07:00 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
મુઝફ્ફરનગરમાં લાઠીથી હુમલો, માથેથી પાઘડી પાડી દેવાઈ
પહલગામ આતંકવાદી હુમલા વિશે વિવાદાસ્પદ નિવેદન આપનારા ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈત પર શુક્રવારે મુઝફ્ફરનગરમાં લાઠીથી હુમલો થયો હતો અને તેમની પાઘડી પાડી નાખવામાં આવી હતી.
દેશવિરોધી નિવેદન
પહલગામ હુમલા બાદ રાકેશ ટિકૈતે હરિયાણાના કરનાલમાં નિવેદન આપતાં કહ્યું હતું કે ‘આ ઘટનાથી કોને ફાયદો થઈ રહ્યો છે? ચોર આપણી વચ્ચે છે, પાકિસ્તાનમાં નહીં. કોણ
હિન્દુ-મુસ્લિમ કરાવી રહ્યું છે, જવાબ તેની પાસે જ છે.’
એ નિવેદન આપીને ટિકૈતે આડકતરી રીતે હુમલા પાછળ આંતરિક ષડ્યંત્ર હોવાની વાત કરી હતી. બીજી તરફ તેમના ભાઈ નરેશ ટિકૈતે કહ્યું હતું કે આખા પાકિસ્તાનને આ આતંકવાદી હુમલા માટે દોષી ઠરાવવાનું ઠીક નથી. આમ બેઉ ભાઈઓનાં નિવેદનોથી દેશભરમાં ગુસ્સો ભડકી ઊઠ્યો હતો. લોકોએ એને શહીદોનું અપમાન અને દેશની સુરક્ષાના વિરોધનાં નિવેદન ગણાવ્યાં હતાં.
મુઝફ્ફરનગરમાં રીસ ઉતારી પહલગામ હુમલાના વિરોધમાં બીજી મેએ મુઝફ્ફરનગરમાં જન આક્રોશ રૅલી કાઢવામાં આવી હતી જેમાં રાકેશ ટિકૈત સામેલ થયા હતા. લોકોને જ્યારે ખબર પડી કે તે અહીં છે ત્યારે લોકોએ ટિકૈતના વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો અને ‘પાછા જાવ’ના નારા લગાવ્યા હતા. ભીડે ટિકૈતને ઘેરી લીધા હતા અને તેમની સાથે ધક્કામુક્કી કરી હતી. તેમને લાઠીથી ફટકાર્યા હતા જેમાં તેમની પાઘડી નીચે પડી ગઈ હતી.