૧૯૬૦થી પાણીના ઉપયોગ માટે પંજાબે રાજસ્થાન પાસેથી કરી ૧.૪૪ લાખ કરોડ રૂપિયાની માગણી

21 March, 2026 08:52 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ઉમેર્યું હતું કે પંજાબ સરકારે આ મુદ્દો કેન્દ્ર અને રાજસ્થાન સરકાર બન્ને સમક્ષ ઉઠાવ્યો છે

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનની ફાઇલ તસવીર

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને રાજસ્થાન સરકારને ૧૯૬૦થી પાણીના ઉપયોગના ચાર્જ માટે ૧.૪૪ લાખ કરોડ રૂપિયા ચૂકવવા અથવા પાણી ખેંચવાનું બંધ કરવા જણાવ્યું છે. રાજસ્થાન પર ૧૯૬૦થી પૈસા ન ચૂકવવાનો આરોપ લગાવતાં ભગવંત માને ઉમેર્યું હતું કે પંજાબ સરકારે આ મુદ્દો કેન્દ્ર અને રાજસ્થાન સરકાર બન્ને સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે ૧૯૨૦ના બ્રિટિશ યુગના પાણી વહેંચણી કરારની સમીક્ષા કરવાની હાકલ કરી હતી.

પંજાબના મુખ્ય પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે ‘રાજસ્થાને ૧૯૬૦થી ફિરોઝપુર ફીડર દ્વારા ખેંચાતા પાણી માટે એક પણ પૈસો ચૂકવ્યો નથી. ૧૯૨૦ના કરાર હેઠળ ૧૯૬૦ સુધી રાજસ્થાનને સતત ૧૮,૦૦૦ ક્યુસેક પાણી પંજાબ દ્વારા પૂરું પાડવામાં આવતું હતું. જોકે સિંધુ જળ સંધિ પછી આ વ્યવસ્થાનો કોઈ ઉલ્લેખ નહોતો. જો આપણે ૧૯૬૦થી ૨૦૨૬ સુધીનાં બાકી લેણાંની ગણતરી કરીએ તો રાજસ્થાને પંજાબને ૧.૪૪ લાખ કરોડ રૂપિયા આપવાના બાકી છે. અમે રાજસ્થાનને અમારાં બાકી લેણાં ચૂકવવા અથવા ગંગ કનૅલમાંથી પાણી ખેંચવાનું બંધ કરવા કહીશું. અમે કેન્દ્ર સરકાર અને રાજસ્થાન સરકાર બન્ને સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે. અમે રાજસ્થાન સરકારને પણ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવવા પત્ર લખ્યો છે.’

ભગવંત માને ૧૯૨૦ના ત્રિપક્ષીય કરારની સમીક્ષા કરવાની માગણી કરી હતી જેમાં બ્રિટિશ સરકાર, બહાવલપુર રાજ્ય (હવે પાકિસ્તાનમાં) અને તત્કાલીન બિકાનેરના મહારાજાનો સમાવેશ થતો હતો. કરારમાં એવી શરત હતી કે રાજસ્થાન પંજાબથી લેવામાં આવતા પાણી માટે ફી ચૂકવે, જે તે ૧૯૬૦ સુધી કરતું હતું. ત્યાર બાદ નાણાંની ચુકવણી બંધ કરવામાં આવી હતી. ૧૯૨૦નો કરાર રદ પણ કરવામાં આવ્યો નથી.

bhagwant mann punjab rajasthan national news news