૪૮૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મહેલ જેવા દેખાતા જોધપુરના નવા ઍરપોર્ટનું આજે ઉદ્ઘાટન કરશે નરેન્દ્ર મોદી

04 July, 2026 09:43 AM IST  |  Jodhpur | Gujarati Mid-day Correspondent

એની ક્ષમતા દર વર્ષે ૨૦ લાખ મુસાફરોને હૅન્ડલ કરવાની છે

નવું ઍરપોર્ટ જૂના કરતાં છગણું મોટું છે

રાજસ્થાનના જોધપુર શહેરમાં રાજમહેલને ટક્કર આપે એવું નવું ઍરપોર્ટ તૈયાર થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એનું ઉદ્ઘાટન કરવાના છે. તેમણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ ઍરપોર્ટની તસવીરો શૅર કરીને લખ્યું હતું, ૪ જુલાઈ જોધપુરવાસીઓ માટે બહુ ખાસ દિવસ છે.

આ નવું ઍરપોર્ટ ૪૮૦ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે અને ૩૭ એકરમાં ફેલાયેલું છે. નવું ઍરપોર્ટ જૂના કરતાં છગણું મોટું છે. એની ક્ષમતા દર વર્ષે ૨૦ લાખ મુસાફરોને હૅન્ડલ કરવાની છે. એની ડિઝાઇન રાજસ્થાનની રાજાશાહી વિરાસતથી પ્રેરિત છે. એમાં મેહરાબ અને ઝરુખા જેવી ડિઝાઇનનો ઉપયોગ થયો છે. એની પ્રેરણા ૧૯૩૧માં મહારાણા ઉમેદ સિંહ દ્વારા સ્થપાયેલી જોધપુર ફ્લાઇંગ ક્લબ અને રાજપૂતાના સ્થાપત્યકલામાંથી લેવામાં આવી છે. દરેક સેક્શનમાં છતની પાસે પારંપરિક મોર, રાજદરબાર અને મારવાડી સંસ્કૃતિને આધુનિક અંદાજમાં દર્શાવાયાં છે.

આ પ્રસંગે નરેન્દ્ર મોદી મૉડિફાઇડ UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના પણ લૉન્ચ કરશે. આ યોજના અંતર્ગત ભારતમાં નવા ૧૦૦ ઍરપૉર્ટ્સનો વિકાસ કરવામાં આવશે. એનો હેતુ ભારતમાં ઇન્ટરનલ ઍર-કનેક્ટિવિટી વધારવાનો અને સામાન્ય લોકોમાં હવાઈ યાત્રાને અફૉર્ડેબલ બનાવવાનો છે. 

jodhpur rajasthan narendra modi national news news