04 May, 2025 06:46 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે તિરુવનંતપુરમની ઇવેન્ટમાં શશી થરૂરને ઉષ્માપૂર્વક મળતા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેરલાના તિરુવનંતપુરમમાં વિઝિન્જમ ઇન્ટરનૅશનલ સીપોર્ટ પરિયોજના હેઠળ પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમ્યાન તેમની સાથે સ્ટેજ પર કેરલાના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂર પણ હાજર હતા. પોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે ‘હું મુખ્યમંત્રીજી (પિનરાઈ વિજયન)ને કહેવા માગું છું કે તમે INDI અલાયન્સના ગઠબંધનના એક મજબૂત સ્તંભ છો. શશી થરૂરજી પણ અહીં બેઠા છે. આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ હરામ કરી દેશે.’
જોકે તેમના ભાષણનો અનુવાદ કરનાર વ્યક્તિએ એનો બરાબર અનુવાદ ન કર્યો, જેના પર નરેન્દ્ર મોદીએ કહેવું પડ્યું કે સંદેશ તેમના સુધી પહોંચી ગયો છે, જ્યાં પહોંચાડવાનો હતો.
નરેન્દ્ર મોદીની કેરલાને ૮૯૦૦ કરોડની ભેટ, વિઝિન્જમ ઇન્ટરનૅશનલ પોર્ટ દેશને કર્યું સમર્પિત
કેરલાની જનતાને નરેન્દ્ર મોદીએ શુક્રવારે ૮૯૦૦ કરોડ રૂપિયાની ભેટ આપી હતી. આ દરમ્યાન તેમણે હજારો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિઝિન્જમ ઇન્ટરનૅશનલ ડીપવૉટર મલ્ટિપર્પઝ સીપોર્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. કેરલા સરકારની આ મહત્ત્વપૂર્ણ પરિયોજનાને અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન લિમિટેડ (APSEZ) દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ વિકસિત કરવામાં આવી છે.
વિઝિન્જમ પોર્ટની ટ્રાન્સશિપમેન્ટ હબક્ષમતા આગામી સમયમાં ત્રણગણી વધશે. એને મોટાં કાર્ગો જહાજોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધી ભારતની ૭૫ ટકા ટ્રાન્સશિપમેન્ટ ગતિવિધિઓ પોર્ટ પરથી થતી હતી જેના પરિણામરૂપે દેશને મોટું નુકસાન થતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. પહેલાં વિદેશોમાં ખર્ચાતું ધન હવે સ્થાનિક વિકાસમાં ઉપયોગમાં લેવામાં આવશે જેનાથી વિઝિન્જમ અને કેરલાના લોકો માટે નવી આર્થિક તકોનું સર્જન થશે.