ટ્રેનમાં આગની અફવાથી નીચે ઉતર્યા! બાજુના ટ્રેક પર એક્સપ્રેસ સાથે ટક્કર, 4 ના મોત

14 June, 2026 08:56 PM IST  |  Udaipur | Gujarati Mid-day Online Correspondent

ડિવિઝનલ પબ્લિક રિલેશન્સ ઓફિસર મનોજ સિંહે જણાવ્યું હતું કે, "સાંજે લગભગ 4:15 વાગ્યે, ટ્રેન નં. 19665 (ખજુરાહો-ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ) હેતમપુર-ધોલપુર રેલ વિભાગમાં જનરલ કોચમાં ચેઇન પુલિંગ થવાને કારણે અટકી ગઈ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં રવિવારે એક દુ:ખદ ટ્રેન અકસ્માત થયો. ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ગભરાટની સ્થિતિમાં, કેટલાક મુસાફરો ટ્રેનમાંથી નીચે રેલવે પાટા પર ઉતરી ગયા. દુઃખદ વાત એ છે કે, બાજુના ટ્રેક પરથી પસાર થતી પાતાળકોટ એક્સપ્રેસે એક બાળક અને ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોને ટક્કર મારી જેમાં તેમને મોત નીપજ્યું હતું. આ ઘટના હેતમપુર અને ઘેર રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. અકસ્માતના સમાચાર મળતાં, રેલવે, GRP, RPF અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ચેઈન પુલિંગ બાદ મુસાફરો નીચે ઉતર્યા

અહેવાલ મુજબ, ખજુરાહોથી ઝાંસી થઈને ઉદયપુર જતી ટ્રેન નંબર 19665 ખજુરાહો-ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ રવિવારે સાંજે 4:00 વાગ્યાની આસપાસ મુરેના પસાર થઈ ગઈ હતી અને હેતમપુર અને ઘેર સ્ટેશન વચ્ચેના વિભાગમાં પહોંચી હતી. તે જ ક્ષણે, એક અફવા ફેલાઈ ગઈ કે ટ્રેનમાં આગ લાગી છે, જેના કારણે કોઈએ ઇમરજન્સી ચેઇન ખેંચીને ટ્રેનને રોકી દીધી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટ્રેન બંધ થયા પછી, કેટલાક મુસાફરો નીચે ઉતર્યા અને નજીકના રેલવે ટ્રેક તરફ ચાલ્યા ગયા. તે જ સમયે, ફિરોઝપુર-સિઓની પાતાળકોટ એક્સપ્રેસ, જે આગ્રાથી ઝાંસી થઈને મુરેના અને ગ્વાલિયર જઈ રહી હતી, તે વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. મુસાફરો પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સમજી શકે તે પહેલાં, પસાર થઈ રહેલી ટ્રેન સાથે ચાર લોકોની ટક્કર થઈ.