23 June, 2024 07:42 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
કાશીના પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત
અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ થયેલી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં મુખ્ય પૂજારી તરીકે રહેલા કાશીના પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું ગઈ કાલે ૯૦ વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમને ભારતીય સનાતન પરંપરાના પ્રકાંડ વિદ્વાન ગણવામાં આવતા હતા. તેમણે પ્રાણપ્રતિષ્ઠા સમયે ૧૨૧ વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કર્યું હતું. આ પહેલાં ૨૦૨૧ના ડિસેમ્બર મહિનામાં કાશી વિશ્વનાથધામ કૉરિડોરના લોકાર્પણ સમયના પૂજનમાં પણ તેઓ સામેલ હતા.
પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના પરિવારજનોએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે તેમની તબિયત બગડી હતી અને થોડી જ વારમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના ગ્વાલિયર, રાજસ્થાન અને દેશના મુખ્ય રાજવી પરિવારોમાં રાજ્યાભિષેક સમારોહ તેમના હાથે સંપન્ન થયા છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક સમયે પણ દીક્ષિત પરિવારની જૂની પેઢીઓ સંકળાયેલી રહી છે.