21 August, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં મોબાઇલ કનેક્શનની મર્યાદાના કડક અમલીકરણ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. આગામી ૨૪ ઑગસ્ટથી ટેલિકૉમ ઑપરેટર્સ એવા ગ્રાહકોને નવાં સિમ કાર્ડ નહીં આપી શકે જેમણે નિયત મર્યાદા પહેલેથી જ પૂરી કરી લીધી છે. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન્સ (DoT) દ્વારા આ વિશેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
દેશમાં એક વ્યક્તિ મહત્તમ ૯ સિમ કાર્ડ રાખી શકે છે; જ્યારે આસામ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં આ મર્યાદા ૬ સિમ કાર્ડની છે. આ નિયમનું કડક પાલન કરાવવા માટે ઑપરેટર્સ સરકારના ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લૅટફૉર્મ (DIP)નો ઉપયોગ કરશે. ૨૩ ઑગસ્ટથી આ પ્લૅટફૉર્મ પર ફોટો-આધારિત ઓળખસુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેથી નિયમ વટાવનાર ગ્રાહકોને સરળતાથી ઓળખી શકાય.
ગ્રાહકોએ નવું કનેક્શન લેતી વખતે કસ્ટમર ઍપ્લિકેશન ફૉર્મ (CAF)માં અગાઉના તમામ મોબાઇલ નંબરોની વિગતો આપવી પડશે. જો કોઈ ભૂલથી મર્યાદા કરતાં વધુ સિમ અલૉટ થઈ જશે તો એ કનેક્શન એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ટેલિકૉમ કંપનીઓને આ સિસ્ટમ સાથે જોડાવા માટે ૩૦ નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અને સુરક્ષા વધારવા આ મહત્ત્વનું પગલું ભર્યું છે.