ધ્યાન રાખજો, વસ્તીગણતરી માટે કોઈ ફી કે OTP આપવાની જરૂર નથી

24 April, 2026 07:23 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ફ્રૉડની શક્યતાને ધ્યાનમાં લઈને પહેલી મેથી શરૂ થનારી વસ્તીગણતરી માટે સરકારની સૂચના

પ્રતીકાત્મક તસવીર

દેશમાં શરૂ થઈ રહેલી વસ્તીગણતરીની કામગીરી વિશે રાજ્યના સેન્સસ અધિકારીઓએ મહત્ત્વની ગાઇડલાઇન્સ જાહેર કરી છે. વસ્તીગણતરી પ્રક્રિયા માટે લોકોએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં તેમ જ બૅન્કની વિગતો, વન ટાઇમ પાસવર્ડ (OTP), આધાર કાર્ડ કે પૅન કાર્ડની નકલ આપવાની જરૂર પણ રહેશે નહીં.

રાજ્યના અધિકારીઓએ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને આદેશ આપ્યો છે કે તેઓ નકલી ગણતરીકારો સામે કડક કાર્યવાહી કરે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ આવી વિગતો માગે તો તાત્કાલિક પોલીસ-ફરિયાદ નોંધવામાં આવે એની ખાતરી કરે.

વસ્તીગણતરીની કામગીરી શરૂ થાય એ પહેલાં જ કેટલાંક રાજ્યોમાં છેતરપિંડી અને શંકાસ્પદ કૉલ આવતા હોવાના બનાવ બન્યા છે જેને પગલે પ્રશાસન સતર્ક બન્યું છે. 

વસ્તીગણતરીનું સમયપત્રક 
૧થી ૧૫ મે ઃ સેલ્ફ-ઍન્યુમરેશન (નાગરિકો પોતે વિગત ભરી શકે) તબક્કો શરૂ થશે.
૧૬ મેથી ૧૪ જૂન ઃ ઘરે-ઘરે જઈને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં આશરે ૨.૪ લાખ સરકારી કર્મચારીઓ જોડાશે.

national news india indian government Crime News cyber crime