13 May, 2026 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરી
કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ બસોમાં મુસાફરી કરતા મુસાફરો માટે હવે સીટ-બેલ્ટ પહેરવો ફરજિયાત રહેશે. વળી આ નિયમ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડના આધારે બનાવવામાં આવ્યો છે. આ પ્રસ્તાવિત પગલું લાંબા અંતરની અને લક્ઝરી બસ સહિત વિવિધ શ્રેણીની બસોને લાગુ પડશે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો ઉદ્દેશ માર્ગ-અકસ્માતોમાં મૃત્યુ અને ગંભીર ઈજાઓ ઘટાડવાનો છે.
હાલ બસ સળગી ઊઠવાથી કે પલટી ખાઈ જવાથી લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. ખાસ કરીને જ્યારે બસ સ્પીડને કારણે પલટી જાય છે અથવા અથડાય છે ત્યારે મુસાફરોનો જીવ જોખમમાં મુકાય છે. સરકાર માને છે કે મુસાફરી કરતી વખતે સીટ-બેલ્ટ પહેરવાથી ઘણા લોકોના જીવ બચી શકે છે. લક્ઝરી બસોમાં સીટ-બેલ્ટ હોવા છતાં મુસાફરો પહેરતા નથી, જ્યારે સીટ-બેલ્ટ વગરની બસોમાં હવે સીટ-બેલ્ટ ઉપલબ્ધ કરવાવાનું કામ શરૂ થશે.