15 August, 2026 10:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સ્વતંત્રતાદિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને ૭૮ શૌર્ય પુરસ્કારોને મંજૂરી આપી છે. આમાં ૧૩ મરણોત્તર પુરસ્કારોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિની મંજૂરીથી આપવામાં આવેલા શૌર્ય પુરસ્કારોમાં ૭ મરણોત્તર સહિત ૯ કીર્તિ ચક્ર, ૧ મરણોત્તર સહિત ૧૯ શૌર્ય ચક્ર, ૧ શૌર્ય ચક્ર (બીજી વાર), પાંચ સેના મેડલ (બીજી વાર), પાંચ મરણોત્તર સહિત ૩૬ સેના મેડલ (વીરતા), ૩ નૌકાદળ મેડલ (વીરતા) અને પાંચ વાયુ સેના મેડલ (વીરતા)નો સમાવેશ થાય છે.
ગઈ કાલે સ્વતંત્રતાદિવસની પૂર્વસંધ્યાએ ઓડિશાના ઢેંકાનાલ શહેરમાં પુલ પર હજારોની સંખ્યામાં લોકોએ તિરંગા રૅલી કાઢી હતી.
૧૯૯૧ના જમ્મુ રેલવે-સ્ટેશન બૉમ્બવિસ્ફોટ કેસમાં સંડોવાયેલા અને છેલ્લાં ૩૫ વર્ષથી નાસતા-ફરતા આતંકવાદી અલ્તાફ હુસૈન શેખની જમ્મુની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ગુરુવારે ધરપકડ કરી હતી. આ વિસ્ફોટમાં અર્ધલશ્કરી દળોના બે જવાનો સહિત ૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૧૮ નાગરિકો ઘાયલ થયા હતા. અનંતનાગના બિજબેહરાનિવાસી અલ્તાફ હુસૈન શેખ વિશે જમ્મુ GRPના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૩૫ વર્ષના પીછા પછી ધરપકડ કરાયેલો આરોપી શરૂઆતમાં ભૂગર્ભમાં ગયો હતો અને ઘણા દાયકાઓથી છુપાયેલી ઓળખ સાથે રહેતો હતો.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વિષ્ણુગઢ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજનાની ટનલના નિર્માણ દરમ્યાન ગુરુવારે મોડી સાંજે મોટો અકસ્માત થયો હતો. ટનલની અંદર અચાનક જ પાણી અને કાટમાળ ભરાઈ જતાં લગભગ પચીસ મજૂરો ફસાઈ ગયા હતા. તાત્કાલિક રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરીને ૧૪ જણને બચાવી લેવાયા હતા. ૭ મજૂરોનું મૃત્યુ થયું હતું. ગઈ કાલે મોડી સાંજ સુધી હજી ૩ મજૂરો મિસિંગ હતા.
પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંહ બાદલ પર નાંદેડના ગુરુદ્વારામાં હુમલાખોરે ગુરુવારે કિરપાણથી હુમલો કર્યો હતો જેમાં તેમના હાથ પર ઈજા થતાં તેમને સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈ કાલે તેમની તબિયતમાં સુધારો જણાતાં તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો હતો.
ગુરુવારે જપાનના પૂર્વીય વિસ્તારોમાં સ્થાનિક ઑથોરિટીએ સૌથી હાઇએસ્ટ કહેવાય એવી ફાઇવ ગ્રેડની ઇમર્જન્સી જાહેર કરી હતી. લગાતાર અને ધોધમાર વરસાદને કારણે પૂર્વ જપાનના કેટલાક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. હજારો લોકો ટોક્યોના ઍરપોર્ટ પર અટવાઈ ગયા હતા. જળભરાવને કારણે ૮ લોકો તણાઈને મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું હતું. શુક્રવારે વરસાદની તીવ્રતા થોડીક ઘટી હતી, જોકે એ પછી પણ ફોર ગ્રેડની ઇમર્જન્સી લાગુ કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં પૂરને કારણે ગાડીઓ ડૂબી ગઈ હતી.