09 September, 2026 01:15 PM IST | muzaffarnagar | Gujarati Mid-day Correspondent
જજ દિવાકર
હું ડરપોક જજ કહેવાવા કરતાં મરવાનું વધુ પસંદ કરીશ એવી આકરી ટિપ્પણી સાથે મુઝફ્ફરનગરના જજ દિવાકરે પત્નીને જીવતી સળગાવનારા આરોપી નદીમને ફાંસીની સજા ફટકારી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૪ મહિનામાં ૧૦ અલગ-અલગ કેસમાં તેઓ ૨૩મી વખત ફાંસીની સજા આપી ચૂક્યા છે.
૨૦૧૮ની ૨૩ જુલાઈએ દારૂના નશામાં ધુત નદીમે તેની પત્નીને ઢોરમાર મારી તેના પર કેરોસીન છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. પત્ની ૯૮ ટકા દાઝી ગઈ હતી અને પાંચ દિવસ બાદ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં તેનું મોત થયું હતું.
આ કેસમાં ચુકાદો સંભળાવતી વખતે જજ દિવાકરે સ્પષ્ટ કહ્યું હતું કે ‘જજે નિર્ભય થઈને પોતાની ફરજ બજાવવી જોઈએ. કોઈ પણ બાહુબલી માફિયા કે ગુનેગારથી ડરવું જોઈએ નહીં. જો ન્યાયાધીશ ડરવા લાગશે તો ન્યાયતંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઊઠી જશે.’
જોકે નોંધનીય છે કે અલાહાબાદ હાઈ કોર્ટ દ્વારા હજી સુધી તેમની એક પણ ફાંસીની સજાને બહાલી આપવામાં આવી નથી અને ૯૭ જેટલી પડતર ફાઇલો તેમની કોર્ટમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.