11 October, 2021 03:18 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મહેબુબા મુફતી
ડ્રગ્સ મામલે આર્યન ખાનની ધરપકડ થયા બાદ કેટલાક નેતા અને અભિનેતાઓ શાહરુખ ખાનને સમર્થનની આપી પોતાની પ્રતિક્રિયા જણાવી રહ્યાં છે. ત્યારે જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી દ્વારા ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે આર્યન ખાન (અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર) મુસ્લિમ હોવાને કારણે તેને પરેશાન કરવામાં આવી રહ્યો છે.
મહેબુબા મુફતીએ આગળ કહ્યું કે કેન્દ્રીય મંત્રીના પુત્રના કેસમાં ચાર ખેડૂતોની હત્યાના આરોપમાં નિષ્પક્ષ તપાસને બદલે, કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષના છોકરાની પાછળ છે કારણ કે તેની અટક ખાન છે. મુસ્લિમોને ભાજપની મુખ્ય વોટ બેંકની ઈચ્છાઓ પૂરી કરવા માટે લક્ષિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ શશિ થરૂર અને બૉલિવૂડની મોટી મોટી હસ્તીઓ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે. આર્યન ખાનની જામીન અરજીનીની કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે હવે આગામી 13 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું કે, `જો કોર્ટ જામીન અરજી ફગાવી દે તો તે ખૂબ જ સ્વાભાવિક છે. અમે તેની સામે હાઈકોર્ટમાં જઈશું. અમે મુંબઈની વિશેષ NDPS કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આર્યન ખાનની જામીન અરજી આ આધાર પર દાખલ કરવામાં આવી છે કે તેની પાસેથી કોઈ ડ્રગ્સ મળી નથી અને તેની આરોપીઓ સાથે કોઈ સાંઠગાંઠ નથી. ઉપરાંત, આર્યન ખાને ડ્રગ્સનું સેવન કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.