13 August, 2025 07:46 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જમ્મુ અને કાશ્મીર પોલીસે કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટની હત્યાની તપાસ ૩૫ વર્ષ પછી ફરીથી ખોલી છે. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ પુરાવા એકઠા કરવા માટે પ્રતિબંધિત જમ્મુ ઍન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે સંકળાયેલી વ્યક્તિઓ પર અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં JKLFના ભૂતપૂર્વ વડા યાસિન મલિકનો પણ સમાવેશ થાય છે. મલિક હાલમાં તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યો છે. શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં યાસિન મલિકના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા.
શ્રીનગરના સૌરા વિસ્તારમાં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સની ૧૭ વર્ષની નર્સ સરલા ભટ એપ્રિલ ૧૯૯૦માં તેની હૉસ્ટેલમાંથી ગુમ થઈ ગઈ હતી. ઘણા દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પર ઘણા દિવસો સુધી ગૅન્ગરેપ કરવામાં આવ્યો હતો. તેના મૃતદેહ પર ગોળીના ઘા અને ત્રાસ સહિત ક્રૂર હિંસાનાં ચિહનો જોવા મળ્યાં હતાં. JKLF સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા સરલા ભટની સરકારી નોકરી છોડી દેવા અને ખીણ છોડવાના ફરમાનનો વિરોધ કરવા બદલ હત્યા કરવામાં આવી હતી.