20 July, 2026 04:31 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
કંગના રનૌત (તસવીર: મિડ-ડે)
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે સોમવારે ચોમાસુ સત્ર દરમિયાન મીડિયા સાથે વાત કરતા સંસદ સંકુલની બહાર CJP દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સંસદીય સત્રો જાહેર હિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા અને સરકાર પાસેથી જવાબદારી માગવા માટે હોય છે. તેમના મતે, નિમણૂકો અથવા હટાવવાના નિર્ણયો સરકાર પર દબાણ કરીને નક્કી કરી શકાતા નથી. કંગનાએ કહ્યું, "સંસદીય સત્રો એટલા માટે યોજવામાં આવે છે કે આપણે બધા મુદ્દાઓ પર ચર્ચા કરી શકીએ, અને સરકાર દરેક વસ્તુ માટે જવાબદાર છે. અમે ઇચ્છીએ છીએ કે સત્ર ચાલુ રહે જેથી આપણે આપણા પ્રશ્નો ઉઠાવી શકીએ. જોકે, હંગામો મચાવવો અને અવ્યવસ્થા પેદા કરવી યોગ્ય નથી. લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને પોતાનો કાર્યભાર કેવી રીતે ચલાવવો તે નક્કી કરવાનો અધિકાર છે; તમે સરકાર પર દબાણ કરી શકતા નથી કે કોને જાળવી રાખવા કે દૂર કરવા." તેમણે ઉમેર્યું, "જો તમને આટલું જ લાગે છે, તો જાતે ચૂંટણી લડો. સરકારને કોને દૂર કરવા કે જાળવી રાખવા તે નક્કી કરવા માટે દબાણ કરી શકાતું નથી; આવું દબાણ અસ્વીકાર્ય છે. આખરે, દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી અને સનાતન સંસ્કૃતિ તરફ વળશે, કારણ કે આ આપણી સ્વદેશી સંસ્કૃતિ છે, જ્યારે બાકીનું બધું બહારથી અપનાવવામાં આવ્યું છે."
ચોમાસુ સત્રના પહેલા દિવસે, લોકસભામાં વિપક્ષી સભ્યોએ પ્રશ્નકાળ દરમિયાન પેપર લીકના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ અને રામ મંદિર માટે આપવામાં આવેલા દાનની ચોરીના મુદ્દા પર હોબાળો મચાવ્યો. પરિણામે, ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. સત્ર શરૂ થાય તે પહેલાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી કે સંસદનું ચોમાસુ સત્ર અને દેશમાં ચોમાસુ બન્ને ફળદાયી સાબિત થશે. તેમણે સંસદમાં ચર્ચાઓ તર્ક અને તથ્યો પર આધારિત રાખવા હાકલ કરી.
આ દરમિયાન, CJPનો `ચલો સંસદ` (સંસદ માર્ચ) વિરોધ ચાલુ રહ્યો. CJP 20 જૂનથી દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરી રહ્યું છે. NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે વિરોધીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે ન્યાયની માગ કરી રહ્યા છે. આંદોલનને ટેકો આપવા માટે ઘણા વિપક્ષી નેતાઓ પણ જંતર મંતર પર પહોંચ્યા. સંસદ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે મધ્ય દિલ્હીમાં ભારે સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા હતા. સીજેપીએ આરોપ લગાવ્યો કે પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે લાઠીચાર્જ કર્યો; જોકે, દિલ્હી પોલીસે આ આરોપને નકારી કાઢ્યો, અને કહ્યું કે આવી કોઈ લાઠીચાર્જ થયો નથી. બાદમાં, પોલીસે સંસદ તરફ આગળ વધી રહેલી ભીડને વિખેરવા માટે ટીયર ગૅસના શૅલ છોડ્યા. પ્રશાસને પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે પરવાનગી વિના સંસદ તરફ કોઈ કૂચને મંજૂરી આપવામાં આવશે નહીં. આ દરમિયાન, સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ તેની ભૂખ હડતાળ સમાપ્ત કરી, જ્યારે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે જાહેરાત કરી કે તેઓ સફદરજંગ હૉસ્પિટલમાંથી તેમની અનિશ્ચિત ભૂખ હડતાળ ચાલુ રાખશે.