23 July, 2026 10:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે હૉસ્પિટલમાંથી પોસ્ટ કરેલા વિડિયોમાં બોલતા સોનમ વાંગચુક.
સામાજિક અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે ગઈ કાલે કેન્દ્રીય પ્રધાનો જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહને પત્ર લખીને મેદાંતા હૉસ્પિટલમાં તેમની મુલાકાત લેવા બદલ આભાર માન્યો હતો અને સરકાર ખાતરી આપે તો પોતાની ભૂખહડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી હતી. તેમની શરતોમાં પેપર-લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને પૂરતું વળતર, જવાબદારી સુનિશ્ચિત કરવા સંસદમાં ચર્ચા અને કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણીનો સમાવેશ છે.
સોનમ વાંગચુકે પત્રમાં લખ્યું છે, ‘૨૦ જુલાઈએ સંસદકૂચ પર પોલીસના અત્યાચાર અને બળનો નિંદનીય પ્રયોગ થવા છતાં એ શાંતિપૂર્ણ હતી. આખી દુનિયા અને દેશના લોકોએ વિરોધ-પ્રદર્શનમાં યુવાનોના ધૈર્યને જોયું છે. વિવિધ રાજકીય પક્ષોના લગભગ ૬૫ સાંસદોએ મારો સંપર્ક કર્યો છે અને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી છે. હું સાંસદોની વાતથી સહમત છું. હું જીવવા માગું છું અને વિદ્યાર્થીઓ, શિક્ષણ અને રાષ્ટ્રની સેવાના કાર્યમાં પાછો ફરવા માગું છું; પરંતુ હું આવું યુવાનોના બલિદાનની કિંમત પર કરવા માગતો નથી.’
સોનમ વાંગચુકના પત્રનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ એ છે કે યુવા પ્રદર્શનકારીઓ સામે કોઈ દંડાત્મક કે બદલો લેવાની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં એવી સ્પષ્ટ લેખિત ખાતરી આપો. આ ખાતરી મળતાં હું મારા ઉપવાસ છોડી દઈશ એમ જણાવીને સોનમ વાંગચુકે કહ્યું છે કે હું માનીશ કે સરકારે લાખો યુવાનોના અવાજને સાંભળ્યો છે, જો આવું આશ્વાસન નહીં મળે તો મારું અનશન જારી રાખીશ.
સોનમ વાંગચુકને ભૂખહડતાળ ખતમ કરવા CJPની અપીલ
જંતરમંતર પર ચાલી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે CJPના અભિજિત દીપકેએ સોનમ વાંગચુકને પત્ર લખીને તેમના ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે ‘સોનમ વાંગચુકનું જીવન દેશ માટે મહત્ત્વપૂર્ણ છે અને તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમણે હવે તેમની ભૂખહડતાળ સમાપ્ત કરવી જોઈએ. ઉપવાસ સમાપ્ત કરવાનો અર્થ આંદોલનનો અંત નથી. જંતરમંતર પર શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન તેમની મુખ્ય માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણીથી અમે પાછળ
નહીં હટીએ.’
અભિજિત દીપકેએ સોશ્યલ મીડિયા પર સોનમ વાંગચુકને સંબોધીને લખ્યું કે ‘પૂરા સન્માન અને દિલથી આભાર સાથે અમે આપને અપીલ કરીએ છીએ કે તમે ઉપવાસ ખતમ કરી દો. તમારા ત્યાગે દેશના હજારો વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે. ૨૦ જુલાઈએ અલગ-અલગ રાજ્યોમાંથી યુવાનો માત્ર તમારા અને આ આંદોલનના સમર્થનમાં પહોંચ્યા હતા. તમે બતાવી દીધું છે કે આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી પણ એ તમામ વિદ્યાર્થીઓની છે જે ન્યાયના હકદાર છે, પણ આ સમયે જરૂરી છે કે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.’