યુદ્ધ રોકવા છતાં પણ પાકિસ્તાનને કોઈ રાહત નહીં મળે, એની ગરદન ભારતના હાથમાં રહેશે

11 May, 2025 08:44 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે, બેઉ દેશો વચ્ચેનો વેપાર બંધ રહેશે, રાજદ્વારી અને નાણાકીય વ્યવહારો બંધ રહેશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પહલગામમાં આતંકવાદી હુમલાના ૧૫ દિવસ બાદ ભારતે પાકિસ્તાન સામે શરૂ કરેલા ઑપરેશન સિંદૂરથી ગભરાઈને પાકિસ્તાને સામે ચાલીને યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી અને ભારતે યુદ્ધ રોકવા સહમતી દર્શાવી હતી, પણ એમાં પાકિસ્તાનને કોઈ લાભ થવાનો નથી, એની મુશ્કેલીઓ ખતમ થવાની નથી. માત્ર યુદ્ધ રોકવામાં આવ્યું છે, ભારતની શરતોને આધીન આ સહમતી સાધવામાં આવી છે. ભારતે માત્ર કાઇનેટિક એટલે કે સૈન્ય કાર્યવાહી માટે શરતોને આધીન યુદ્ધવિરામ કર્યો છે.

પાકિસ્તાન સામે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરીને ‘વૉટર સ્ટ્રાઇક’ કરી છે એ જારી રહેવાની છે. ભારતે બેઉ દેશોના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો છે એ જારી રહેશે. રાજદ્વારી અને નાણાકીય પ્રતિબંધ પણ જારી રહેશે. વીઝા પરના પ્રતિબંધો પણ જારી રહેશે.

ઇન્ટરનેશનલ મૉનિટરી ફન્ડ (IMF) પાસેથી પાકિસ્તાનને એક બિલ્યન ડૉલરની લોન મંજૂર કરવા માટે અમેરિકાએ દબાવ મૂકીને આમાં ભૂમિકા ભજવી છે.

પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ

ભારતે પાકિસ્તાન સામેની સૈન્ય કાર્યવાહી રોકી દીધી છે, પણ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેણે આતંકવાદ સામે સખત કાર્યવાહી કરવી પડશે. પાકિસ્તાને એની જમીન પર ચાલી રહેલા આતંકવાદી નેટવર્કને ખતમ કરવા પડશે. પાકિસ્તાન આના પર કેવી પ્રતિક્રિયા આપે છે એના પર પણ ભારતની નજર રહેશે.

આગળ શું?
શું ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતનો દોર શરૂ થશે કે પછી સૈન્ય પૂરતો મર્યાદિત રહેશે એ સવાલ છે. કરતારપુર કૉરિડોર ખૂલશે કે નહીં, શું પાકિસ્તાન એક જવાબદાર પાડોશી તરીકે વ્યવહાર કરશે કે પછી ભારતને તેની સખત નીતિઓ સાથે કામ કરવાનું રહેશે?

national news india delhi ind pak tension pakistan indian army