09 March, 2026 02:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં હિન્દુ યુવાનની હત્યા કરનારા આરોપીના ઘર પર બુલડોઝર
દિલ્હીના ઉત્તમનગરમાં ધુળેટીના દિવસે રંગ નાખવાના મુદ્દે હિન્દુ યુવક તરુણ કુમારની થયેલી હત્યાના કેસમાં દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (MCD)એ ગઈ કાલે આ કેસના મુખ્ય આરોપી નિઝામુદ્દીનના ઘરના ગેરકાયદે હિસ્સાને બુલડોઝરથી તોડી પાડ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં ૮ જણની ધરપકડ કરવામાં આવી છે. દ્વારકાના ડેપ્યુટી પોલીસ-કમિશનર કુશલ પાલ સિંહે જણાવ્યું હતું કે ‘આ કેસમાં આઠમા આરોપી તરીકે ૩૮ વર્ષના ઇમરાન ઉર્ફે બન્ટીની ધરપકડ કરવામાં આવી છે. તરુણના પરિવારના નિવેદનના આધારે કાયદાની કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે.’
આરોપીઓમાં ત્રણ ભાઈઓ, એક પિતા અને પુત્રનો સમાવેશ
આ કેસમાં અત્યાર સુધીમાં પકડાયેલા ૮ આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ છે. પુખ્ત આરોપીઓની ઓળખ ઉમરદીન, જામુદ્દીન, મુસ્તાક, કમરુદ્દીન, મુઝફ્ફર, તાહિર અને ઇમરાન તરીકે થઈ છે. બધા જે.જે. કૉલોનીના રહેવાસી છે. આમાંથી ઉમરદીન, જામુદ્દીન અને કમરુદ્દીન ભાઈઓ છે, જ્યારે મુઝફ્ફર અને ઉમરદીન પિતા અને પુત્ર છે.