12 September, 2023 01:00 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી ઃ દેશમાં રખડતા કૂતરા કરડવાના કિસ્સા વચ્ચે હવે આ મુદ્દો સર્વોચ્ચ અદાલતમાં પણ ગાજ્યો છે. આ મામલે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ડૉગનો શિકાર બનેલા વકીલ હાથમાં પટ્ટો બાંધીને પહોંચ્યા અને ચીફ જસ્ટિસે તેમને આનું કારણ પૂછ્યું. ખરેખર કૃણાલ ચૅટરજી નામના વકીલ પહેલાંથી જ ચીફ જસ્ટિસની કોર્ટમાં હાજર હતા. તેમણે ખુદ આ મુદ્દો નથી ઉઠાવ્યો, પણ તેમના હાથમાં પટ્ટો જોઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘પાડોશમાં રહેતા પાંચ ડૉગીએ મને ઘેરી લીધો હતો જેથી મારા હાથમાં આ પટ્ટો બાંધેલો છે. ચીફ જસ્ટિસે વકીલ પ્રત્યે સંવેદના બતાવતાં તેમને મદદની ખાતરી આપી હતી. તેમણે પૂછ્યુ કે શું તમને મેડિકલ મદદની જરૂર છે? હું રજિસ્ટ્રીને વાત કરું. એક સદસ્ય જસ્ટિસ નરસિંહાએ ટિપ્પણી કરી કે આ રખડતા કૂતરાની તકલીફ સાચે મોટી સમસ્યા બની ગઈ છે. સુનાવણી સમયે સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આની ગંભીરતા કોર્ટ સમક્ષ દર્શાવી. તેમણે ગાઝિયાબાદમાં એક બાળકને કૂતરો કરડ્યા બાદ રેબીઝ સંક્રમણના શિકારનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ સાચે જ એક ગંભીર મુદ્દો છે.