Delhi Fire: દ્વારકામાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ; પિતા બે બાળકો સાથે કૂદી પડ્યા, ત્રણેયનાં મોત

11 June, 2025 06:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Fire: દ્વારકા સેક્ટર-૧૩માં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી; સાતમા માળેથી કૂદી પડતા પિતા અને બે બાળકોના મોત; સોસાયટીના તમામ રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રાજધાની દિલ્હી (Delhi)ના એક એપાર્ટમેન્ટમાં આજે સવારે ભીષણ આગ (Delhi Fire) લાગી હતી. આજે સવારે દ્વારકા (Dwarka) સેક્ટર-૧૩ સ્થિત બહુમાળી ઈમારત સાબાદ એપાર્ટમેન્ટ (Shabad Apartments)ના એક ફ્લેટમાં આગ લાગવાના સમાચારથી હંગામો મચી ગયો હતો. ઈમારતના ઉપરના માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. આ દરમિયાન એક પિતા અને બે બાળકોએ જીવ બચાવવા માટે ઈમારત પરથી કૂદી પડ્યા હતા, જેના કારણે ત્રણેયના મોત થયા હતા.

દ્વારકામાં એક એપાર્ટમેન્ટના સાતમા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. ફાયર વિભાગે ભીષણ આગને કાબુમાં લીધી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત પણ થયા હતા. આ અકસ્માત દ્વારકા સેક્ટર ૧૩માં આવેલી એમઆરવી સ્કૂલ પાસેની સાબાદ સોસાયટી એક ઇમારતમાં થયો હતો. ફાયર વિભાગને સવારે ૧૦.૦૧ વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી, ત્યારબાદ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે, જેમાં એપાર્ટમેન્ટ બિલ્ડિંગના ઉપરના માળે ભીષણ આગ લાગી હોવાનું દેખાય છે.

મળતી માહિતી મુજબ, બે બાળકો (એક છોકરો અને એક છોકરી, બંને ૧૦ વર્ષના) પોતાને બચાવવા માટે બાલ્કનીમાંથી કૂદી પડ્યા અને આકાશ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. બાદમાં તેમના ૩૫ વર્ષના પિતા યશ યાદવ પણ બાલ્કનીમાંથી કૂદી પડ્યા અને IGI હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. તેઓ ફ્લેક્સ બોર્ડનો વ્યવસાય કરતા હતા. યશ યાદવની પત્ની અને મોટો દીકરો આગમાંથી બચી ગયા હતા અને તેઓ બચી ગયા છે. તેમને તબીબી સહાય માટે IGI હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સોસાયટીના તમામ રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને વીજળી અને PNG કનેક્શન જેવી બધી સુવિધાઓ કાપી નાખવામાં આવી છે.

માળખાકીય સ્થિરતાનું મૂલ્યાંકન કરવા માટે DDA અને MCD ને જાણ કરવામાં આવી છે. પરિવારને મદદ કરવા માટે આકાશ અને IGI બંને હોસ્પિટલોમાં ટીમો તૈનાત કરવામાં આવી છે.

જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં રહેતા તમામ લોકોએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એપાર્ટમેન્ટ કમિટીને આ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ સમગ્ર મામલામાં બેદરકારી દાખવવામાં આવી હતી.

ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને ૮ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા. ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સવારે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે અને ઘટનાસ્થળ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ફાયર વિભાગે કોઈપણ પ્રકારની અફવાઓ ટાળવા અપીલ કરી હતી. બાકીની વિગતો અને આગના કારણ માટે ફાયર વિભાગ તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિકતાના ધોરણે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

fire incident new delhi delhi news national news news dwarka