02 February, 2025 12:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પર્યટનસ્થળ
દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા થનારા પ્રયાસો વિશે બોલતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ-સ્પીચમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને ટોચનાં ૫૦ પર્યટનસ્થળોનો વિકાસ કરશે અને હોટેલો અને હોમ-સ્ટે સર્વિસ પૂરી પાડનારા લોકોને મુદ્રા લોન પણ ઉપલબ્ધ કરાવશે જેથી લૉજિંગની સુવિધા પૂરી પાડનારા લોકોને ઘરેલુ અને વિદેશી સહેલાણીઓને સર્વિસ આપવામાં સુવિધા રહેશે. સરકાર યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરશે, ટૂરિસ્ટ-પ્લેસની કનેક્ટિવિટી વધારશે, ડેસ્ટિનેશન મૅનેજમેન્ટ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ પૂરી પાડશે અને કેટલાંક ટૂરિસ્ટ ગ્રુપોની વીઝા-ફીમાં માફી આપશે. ટૂરિઝમના વિકાસ માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરશે.
બૌદ્ધ હૅરિટેજ સ્થળો પર વિશેષ ધ્યાન અપાશે
સરકારે ભગવાન બુદ્ધના જીવન અને સમયકાળ સંબંધિત સ્થળો પર વિશેષ ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. એ અંતર્ગત એવાં ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં સ્થળો ખાતે માળખાગત સવલતોમાં સુધારો કરાશે, જેથી દેશના તેમ જ આંતરરાષ્ટ્રીય પર્યટકો વધુ સંખ્યામાં આવે અને એ સાથે જ વૈશ્વિક પર્યટન કેન્દ્રના રૂપમાં ભારતનું સ્થાન વધારે મજબૂત બની શકે.
મેડિકલ ટૂરિઝમને પ્રોત્સાહન
બજેટમાં મેડિકલ ટૂરિઝમના પ્રોત્સાહન પર ખાસ ભાર મુકાયો છે. એ માટે ‘હીલ ઇન ઇન્ડિયા’ નામની નવી પહેલ શરૂ કરાશે જે ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં હાથ ધરાશે. આ પહેલ અંતર્ગત આંતરરાષ્ટ્રીય દરદીઓ માટે આસાન વીઝા નિયમોની સુવિધાનો પણ સમાવેશ કરાશે. આ પહેલથી ભારત દુનિયામાં મેડિકલ સારવાર માટે એક મુખ્ય સ્થળ બનશે, જ્યાં દરદીઓને
વાજબી ખર્ચે વૈશ્વિક દરજ્જાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.