17 July, 2026 04:44 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બેંગલુરુ (Bengaluru)થી અમદાવાદ (Ahmedabad) જઈ રહેલી ઇન્ડિગો (IndiGo)ની એક ફ્લાઇટના શૌચાલયમાં હાથથી લખેલી બોમ્બની ધમકીવાળી ચિઠ્ઠી મળી આવતાં (Bengaluru Airport Bomb Threat) ગુરુવારે રાત્રે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Kempegowda International Airport) પર વિમાનના પ્રસ્થાનમાં પાંચ કલાક કરતાં વધુ સમયનો વિલંબ થયો હતો. આ ઘટનાને પગલે વ્યાપક સુરક્ષા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને તમામ ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ કર્યા બાદ સત્તાવાળાઓએ આ ધમકીને માત્ર એક અફવા જાહેર કરી હતી.
બેંગલુરુથી અમદાવાદ જતી ઇન્ડિગોની એક ફ્લાઇટ બોમ્બની નકલી ધમકીને કારણે પાંચ કલાક કરતાં વધુ સમય માટે મોડી પડી હતી. આખરે શુક્રવારે વહેલી સવારે ૧:૨૧ વાગ્યે આ ફ્લાઇટે ઉડાન ભરી હતી. આ મામલે સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમદાવાદ જવા માટે રવાના થનારી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળી આવતાં વિમાનના પ્રસ્થાનમાં પાંચ કલાકથી વધુનો વિલંબ થયો હતો. આ ચિઠ્ઠી મળતાં જ સુરક્ષા તંત્ર સતર્ક થઈ ગયું હતું. ન્યૂઝ એજન્સી `એએનઆઈ` (ANI)ના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી અને આખરે આ ધમકીને અફવા જાહેર કરવામાં આવી હતી.
એરલાઇન પ્રશાસનના સૂત્રોએ ન્યૂઝ એજન્સી સમક્ષ આ બોમ્બની ધમકી માત્ર એક અફવા હોવાની પુષ્ટિ કરી છે. આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. તાજેતરના અહેવાલ મુજબ, ઇન્ડિગો ફ્લાઇટ 6E 6423 રાત્રે ૮:૦૦ વાગ્યે અમદાવાદ જવા માટે રવાના થવાની હતી.
અહેવાલ અનુસાર, ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સ (વિમાનના કર્મચારીઓ)ને ટોઇલેટમાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેના પર લખ્યું હતું કે, ‘ડોન્ટ ગો બોમ્બ હૈ!’ (જશો નહીં, બોમ્બ છે!). આ ચિઠ્ઠી મળતાં જ સુરક્ષા તપાસ માટે વિમાનને તરત જ રનવે પર રોકી દેવામાં આવ્યું હતું (ગ્રાઉન્ડેડ કરાયું હતું).
એરલાઇનના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ‘રાત્રે ૨૦:૦૦ કલાકે ઉપડનારી ઇન્ડિગો ફ્લાઇટ 6E 6423 (બેંગલુરુ-અમદાવાદ)માંથી બોમ્બની એક નકલી ચિઠ્ઠી મળી આવી હતી. ત્યારબાદ તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અને સુરક્ષા પ્રોટોકોલનું કડકપણે પાલન કરવામાં આવ્યું હતું.’
અહેવાલ મુજબ, આ મામલાની તપાસ માટે તાત્કાલિક બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC)ની રચના કરવામાં આવી હતી. સંપૂર્ણ તપાસ બાદ આ ધમકીને ‘બિન-ચોક્કસ’ ગણાવીને અફવા જાહેર કરવામાં આવી હતી.
આ ઘટના અંગે મળેલી ફરિયાદના આધારે શુક્રવારે સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (નોર્થ ઈસ્ટ) જી.કે. મિથુન કુમારે મીડિયાને જણાવ્યું કે, ‘આ મામલે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે.’
અહેવાલ મુજબ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, ‘આ ખોટી ધમકીને કારણે મોટો વિક્ષેપ ઊભો થયો હતો અને અમારા મુસાફરો, ક્રૂ મેમ્બર્સ તેમજ એરલાઇનની સુરક્ષા અંગે ભારે ચિંતા સર્જાઈ હતી. અમે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા, આ કૃત્ય માટે જવાબદાર વ્યક્તિની ઓળખ કરવા અને તેની સામે કડક કાનૂની પગલાં ભરવા માટે પોલીસ પ્રશાસનની મદદ માંગી છે.’
સુરક્ષા એજન્સીઓ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ, રોકી રાખવામાં આવેલી આ ફ્લાઇટે આખરે શુક્રવારે વહેલી સવારે ૧:૨૧ વાગ્યે અમદાવાદ માટે ઉડાન ભરી હતી.