શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબને લઈ જઈ રહેલા પોલીસના વાહન પર હુમલો

28 November, 2022 07:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આફતાબના પોલીગ્રાફ ટેસ્ટ બાદ હુમલો થયો

ફાઇલ તસવીર

શ્રદ્ધા હત્યા કેસ (Shraddha Murder Case)ના આરોપી આફતાબ પૂનાવાલાના વાહન પર સોમવારે (28 નવેમ્બર) દિલ્હીના રોહિણીમાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીગ્રાફ ટેસ્ટ બાદ એફએસએલની ટીમ આફતાબને લઈને બહાર આવી હતી. ત્યારબાદ કેટલાક લોકોના ટોળાએ સ્થળ પર પહોંચીને કાર પર હુમલો કર્યો હતો. આ લોકોના હાથમાં તલવાર હતી અને તેઓ આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા, જ્યારે હુમલો થયો ત્યારે એક પોલીસકર્મી વેનમાંથી બહાર આવ્યો અને આ લોકો પર બંદૂક તાકી હતી.

એરિયલ ફાયરિંગ થયું હોવાની બાતમી પણ મળી છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ વાન પર પણ પથ્થરમારો કર્યો હતો. હુમલો કરનાર વ્યક્તિએ કહ્યું કે, “તેને બે મિનિટ માટે બહાર કાઢો, હું તેને મારી નાખીશ.” આફતાબની કાર પર હુમલો કરનારા કેટલાક આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. હુમલાખોરો હિન્દુ સેનાના કાર્યકર્તા હોવાનો દાવો કરે છે.

આફતાબના પોલીગ્રાફ ટેસ્ટ બાદ હુમલો થયો

આફતાબનો રોહિણીની એફએસએલમાં પોલીગ્રાફ ટેસ્ટ ચાલી રહ્યો હતો, જે બાદ પોલીસની ટીમ તેની સાથે પરત ફરી રહી હતી. અગાઉ એફએસએલના મદદનીશ નિયામક સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે “નિષ્ણાતોની ટીમ પોલીગ્રાફ ટેસ્ટ કરી રહી છે અને આજનું સેશન ટૂંક સમયમાં પૂર્ણ થશે. જરૂર પડશે તો આફતાબને આવતી કાલે પણ આ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ થયા બાદ નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવશે.”

આ પણ વાંચો: Gujarat Election: ભાવનગરમાં પીએમ મોદીએ કોંગ્રેસ વિશે ખુલ્લેઆમ કહ્યું આવું

national news new delhi