જોરજોરથી કલમા પઢવા લાગ્યો એટલે આતંકવાદીઓએ મને છોડી દીધો

24 April, 2025 12:05 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આસામ યુનિવર્સિટીના બંગાળી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા દેબાશિષ ભટ્ટાચાર્ય પત્ની અને દીકરા સાથે હતા

દેબાશિષ ભટ્ટાચાર્ય અને તેમનાં પત્ની

પહલગામમાં થયેલા ભયાનક હુમલા સમયે એ જ જગ્યાએ હાજર આસામના શ્રીભૂમિ કસબાના પરિવારે મોતના તાંડવને નજરે જોયું હતું અને છતાં એક ટ્રિક વાપરીને બચી ગયું હતું.

દેબાશિષ ભટ્ટાચાર્ય અને તેમનાં પત્ની આસામ વિશ્વવિદ્યાલયના બંગાળી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. એ ડરામણા સમયને યાદ કરીને દેબાશિષ કહે છે, ‘હું મારી પત્ની અને દીકરા સાથે કાશ્મીર ગયો હતો. જ્યારે હુમલો થયો ત્યારે અમે એ જ જગ્યા પર હાજર હતાં. અમે એક વૃક્ષની પાછળ છુપાઈ ગયાં હતાં. એ સમયે મેં ત્યાં આસપાસ કેટલાક લોકોને કલમા બોલતા સાંભળ્યા. હું પણ તેમની સાથે જોડાઈ ગયો. એ જ સમયે એક આતંકવાદી મારી પાસે આવ્યો. તેણે મને પૂછ્યું, ક્યા કર રહે હો? ક્યા રામનામ બોલ રહે હો? મેં તેને જવાબ આપવાને બદલે જોર-જોરથી કલમા બોલવાનું જારી રાખ્યું. મને તેણે કલમા બોલવાનું કહ્યું નહોતું, પરંતુ મેં કલમા બોલવાનું ચાલુ જ રાખ્યું. થોડીક વાર પછી આતંકવાદી ત્યાંથી પીઠ ફેરવીને જતો રહ્યો.’

Pahalgam Terror Attack terror attack jammu and kashmir kashmir assam national news news