02 February, 2026 07:14 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણ.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ પછીની પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે ‘આ બજેટ ટેક્નૉલૉજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક કલ્યાણને સાંકળીને લાંબા ગાળે આર્થિક વિકાસ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. બજેટમાં રજૂ કરાયેલી યોજનાઓ અને ભરાયેલાં પગલાંની દૂરગામી સારી અસર થશે જેનો લાભ દેશના અર્થતંત્રને મળશે.’
મુખ્ય મુદ્દાઓ ઃ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર ઃ સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ૧૨.૨ ટ્રિલ્યન એટલે કે ૧૨.૨ લાખ કરોડ રૂપિયાના ખર્ચનું લક્ષ્ય રાખ્યું છે જે જGDPના લગભગ ૪.૪ ટકા છે. આ અંતર્ગત ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોર્સ, રેલવેનાં ૭ હાઈ સ્પીડ કૉરિડોર અને દેશમાં અગત્યનાં ખનિજોથી સમૃદ્ધ વિસ્તારોને સાંકળનારા નવા રાષ્ટ્રીય જળમાર્ગો વિકસાવવામાં આવશે.
મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર ઃ ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદન માટેની સહાય બમણી કરીને ર૪૦,૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે. એ ઉપરાંત આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ઓડિશા, કેરલા, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં ‘રૅર અર્થ કૉરિડોર’
(દુર્લભ ખનિજ ક્ષેત્રો) બનાવવાની યોજના છે.
ટિયર-2 અને ટિયર-3 શહેરોનો વિકાસ ઃ વિકાસ માત્ર મોટાં મેટ્રો શહેરો સુધી મર્યાદિત ન રહે એ માટે નાનાં શહેરોમાં ‘સ્પેશ્યલ ઇકૉનૉમિક રીજન’ (વિશેષ આર્થિક વિસ્તારો) વિકસાવવામાં આવશે. એ માટે દરેક શહેરદીઠ પાંચ વર્ષ માટે ૫૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
મીડિયમ, સ્મૉલ, માઇક્રો એન્ટરપ્રાઇઝિસ (MSME)ને ટેકો ઃ મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને ‘વિકસિત ભારત’ના મુખ્ય ચાલક ગણાવીને નાણાપ્રધાને ખાતરી આપી છે કે તેમને મૂડીની કોઈ અછત નહીં નડે. આ ઉદ્યોગોને હિસાબ રાખવામાં મદદ થાય, ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બને તથા અન્ય નિયમોનું પાલન સહેલાઈથી થઈ શકે એ માટે મદદ કરવામાં આવશે જેથી તેઓ એ બાબતોની ચિંતા કરવાને બદલે પોતાની વૃદ્ધિ કરવા પર ધ્યાન આપી શકે.
દવાઓ પર રાહત ઃ કૅન્સરની ૧૭ અગત્યની દવાઓને કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેનાથી દરદીઓને મોટી આર્થિક રાહત મળશે. એ ઉપરાંત ૭ એવી બીમારીઓ માટેની દવાઓને પણ ડ્યુટીમુક્ત બનાવવામાં આવશે જે અસાધારણ પ્રકારની છે. આ પગલાથી મને વ્યક્તિગત રીતે પણ સારું લાગ્યું છે.
સરકારે કેમિકલ પાર્ક, કન્ટેનર ઉત્પાદન, મેટ્રોના અને બોગદાના બાંધકામ ક્ષેત્રે વપરાતાં સાધનો માટે પણ સહાય જાહેર કરી છે.
બાયોફાર્મા ક્ષેત્રે નોંધનીય સંશોધન કરનારી સંસ્થાઓ તથા કંપનીઓને પણ મદદ કરવામાં આવશે, જેના દ્વારા સ્પષ્ટ થશે કે ભારત ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે હરણફાળ ભરવા તૈયાર છે.
સરકારે બજેટ તૈયાર કરતી વખતે દેશના યુવા વર્ગ સાથે ચર્ચા કરી હતી. એમાં બહાર આવેલા મુદ્દાઓને બજેટમાં સમાવી લેવામાં આવ્યા હોવાનું નાણાપ્રધાને ભાષણમાં કહ્યું હતું.
બજેટમાં વર્ણવાયેલાં ત્રણ કર્તવ્યો (બીજા શબ્દોમાં મુખ્ય ઉદ્દેશો) આ પ્રમાણે છે ઃ
આર્થિક વિકાસને વેગ આપવો તથા વિકાસની ગતિ ટકાવી રાખવી. એને માટે ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારવી તથા પ્રતિકૂળતાઓને ખમવાની શક્તિ વધારવી.
જનતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવી અને તેમની શક્તિમાં વધારો કરીને તેમને દેશની પ્રગતિનો હિસ્સો બનાવવા.
સરકારના ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ ધ્યેયને અનુલક્ષીને હવે દરેક પરિવાર, સમુદાય, પ્રદેશ અને ક્ષેત્રને સ્રોત પૂરા પાડવા તથા તેમને માટે તકો ઊભી કરવી.