ખાલિસ્તાની લીડર અમ્રિતપાલ ક્યાં છે?

21 March, 2023 11:13 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

પોલીસનું કહેવું છે કે તેઓ તેને શોધી રહ્યા છે, પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેની ધરપકડ કરવામાં આવી છે, પણ પોલીસ જાહેર નથી કરતી: પંજાબમાં મોબાઇલ ઇન્ટરનેટ અને એસએમએસ સર્વિસ બંધ

અમ્રિતપાલની શોધખોળ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા યોજવામાં આવેલી ફ્લૅગમાર્ચ. તસવીર પી.ટી.આઇ.

પંજાબ પોલીસે ખાલિસ્તાનવાદી નેતા અમ્રિતપાલ સિંહની શોધ સતત ત્રીજા દિવસે પણ યથાવત રાખી હતી. તેને પકડવા માટે રાજ્યભરમાં સખત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ગઈ કાલે અમ્રિતપાલના કાકા અને ડ્રાઇવરે જાલંધરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે અમ્રિતપાલના કાકા હરજીત સિંહ અને ડ્રાઇવર હરપ્રીત સિંહે રવિવારે મોડી રાત્રે જાલંધરના મહેતપુર વિસ્તારમાં આવેલા બુલંદપુર ગુરુદ્વારા પાસે આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ સમયે ડીસીપી નરિન્દર ભાર્ગવ અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

શરણાગતિ દરમ્યાન હરજીત તેની લાઇસન્સવાળી પિસ્તોલ અને એક લાખ રૂપિયા રોકડ બતાવતો નજરે પડ્યો હતો. પોલીસે અમ્રિતપાલના પાંચ સાથીઓની ધરપકડ કરીને એમની સામે નૅશનલ સિક્યોરીટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન અમ્રિતપાલ સિંહના વકીલ ખારાએ એવો દાવો કર્યો હતો કે અમ્રિતપાલને પકડી લેવામાં આવ્યો છે તેમ જ પોલીસ એનું ફેક એન્કાઉન્ટર પણ કરી શકે છે. એને હાલ શાહકોટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. એને જે રીતે મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં નથી આવ્યો રહ્યો એને જોતા આ શક્યતાને નકારી શકાય નહીં.

કાકા હરજીતે અમ્રિતપાલને ગાયક અને કાર્યકર દીપ સિધુએ સ્થાપેલી ‘વારિસ પંજાબ દે’ નામક સંસ્થાનો કબજો મેળવવામાં મદદ કરી હતી. ગયા વર્ષે રોડ-અકસ્માતમાં સિધુના મોત બાદ અમ્રિતપાલે આ સંસ્થાનો કારભાર મેળવ્યો હતો. પોલીસે અમ્રિતપાલનાં બે વાહનો જપ્ત કર્યાં છે. પંજાબ સરકારે મોબાઇલ ઇન્ટરનેટ અને એસએમએસ સર્વિસ મંગળવાર બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે બ્રૉડબેન્ડ સર્વિસ ચાલુ રાખવામાં આવી છે, જેથી બૅન્કિંગ, હૉસ્પિટલ જેવી આવશ્યક સર્વિસ ખોરવાઈ ન જાય.

 પોલીસે શનિવારથી અમ્રિતપાલ અને એના સંગઠન ‘વારિસ પંજાબ દે’ના સભ્યો સામે મોટી કાર્યવાહી શરૂ કરી હતી. જાલંધરમાં અમ્રિતપાલના કાફલાને અટકાવવામાં આવ્યો હતો, પરંતુ તે તેમના હાથમાંથી છટકી ગયો હતો. પોલીસે તેના ૩૪થી વધુ સમર્થકોની ધરપકડ કરી છે. વળી એના ચાર માણસોને આસામની એક જેલમાં લઈ જવામાં આવ્યા હતા. 

national news punjab chandigarh