13 August, 2026 10:58 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જસ્ટિસ યશવંત વર્મા અને તેમના ઘરેથી મળી આવેલી બળેલી નોટો.
ત્રણ સભ્યોની લોકસભા તપાસ સમિતિએ રોકડ કૌભાંડમાં જસ્ટિસ યશવંત વર્મા સામેના ત્રણેય આરોપો સાબિત થયા હોવાનું શોધી કાઢ્યું છે. સમિતિના જણાવ્યા અનુસાર સરકારી નિવાસસ્થાનમાંથી મોટી માત્રામાં બિનહિસાબી રોકડ મળી આવી હતી અને પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી હતી. જસ્ટિસ યશવંત વર્માને લોકસભાની તપાસ સમિતિ દ્વારા દોષી ઠેરવવામાં આવ્યા છે. અલાહાબાદ હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મળેલા રોકડા રૂપિયાના કેસમાં સમિતિએ વર્માના ખુલાસાને અસંતોષકારક ગણાવ્યો હતો.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ ગઈ કાલે લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. સમિતિએ જણાવ્યું હતું કે વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટી માત્રામાં બિનહિસાબી રોકડ મળી આવી હોવાના મહત્ત્વપૂર્ણ પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે અને તપાસ દરમ્યાન ગેરમાર્ગે દોરનારા ખુલાસા આપવાના આરોપો સાબિત થયા છે.
શું છે કેસ?
૨૦૨૫માં ૧૪ માર્ચે રાત્રે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી. અે સમયે વર્મા દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ હતા. આગ બુઝાયા પછી સ્ટોર રૂમમાંથી બળી ગયેલી અને આંશિક રીતે બળી ગયેલી ૫૦૦ રૂપિયાની નોટોના બંડલ અને ઢગલા મળી આવ્યા હતા. બાદમાં સળગતી રોકડનો એક વિડિયો સામે આવ્યો હતો. વર્માએ આરોપોને નકારી કાઢ્યા હતા અને અેને પોતાને ફસાવવાનું કાવતરું ગણાવ્યું હતું.
તત્કાલીન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા દ્વારા આદેશ આપવામાં આવેલી આંતરિક તપાસ બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જજિઝ (તપાસ) ઍક્ટ હેઠળ ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. અેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારે કરી હતી.
જોકે તપાસ પૂર્ણ થાય અે પહેલાં યશવંત વર્માએ રાજીનામું આપી દીધું. હવે અે સ્પષ્ટ નથી કે સંસદ સમિતિના અહેવાલ અને તારણો પર આગળ કાર્યવાહી કરશે કે નહીં. કેટલાક કાનૂની નિષ્ણાતો દલીલ કરે છે કે જજિઝ (તપાસ) ઍક્ટ ફક્ત વર્તમાન ન્યાયાધીશ સામે જ લાગુ કરી શકાય છે.
પુરાવા સાચવવામાં આવ્યા નથી
સમિતિએ નોંધ્યું હતું કે બળેલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી નહોતી કે ગણતરી કરવામાં આવી નહોતી. સ્થળ પર કોઈ ઇન્વેન્ટરી કે પંચનામા તૈયાર કરવામાં આવ્યાં નહોતાં અને રોકડના કોઈ નમૂના સાચવવામાં આવ્યા નહોતા.