19 January, 2026 09:21 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ
વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર પુનઃ વિકાસ અને સૌંદર્યકરણના કાર્ય વિશે સોશ્યલ મીડિયા પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ફોટો અને વિડિયો બનાવવામાં આવતાં ખોટી માહિતી ફેલાવનારા સામે પોલીસે આઠ અલગ-અલગ કેસ નોંધ્યા છે. આ કેસના ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ અને કૉન્ગ્રેસના નેતા પપ્પુ યાદવનાં નામ પણ છે. આરોપીઓ સામે નોટિસ કાઢવામાં આવી છે. આરોપીઓને ત્રણ દિવસમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.
આ મુદ્દે પોલીસે કહ્યું હતું કે ‘કેટલાક ફોટોગ્રાફ્સ મણિકર્ણિકા ઘાટના નથી, એ મણિકર્ણિકા ઘાટના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમે તપાસ કરી રહ્યા છીએ. સમગ્ર ઘટનાની વિગતો વિશે અમે સ્થાનિક રહેવાસીઓ સાથે સતત સંપર્કમાં છીએ. સ્થાનિક રહેવાસીઓ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યથી ખૂબ ખુશ છે અને તેઓ સરકારનો આભાર માની રહ્યા છે. તપાસ ચાલી રહી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
પોલીસે આરોપ લગાવ્યો હતો કે આ પોસ્ટ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ સંબંધિત ઇમેજ શૅર કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો, સમાજમાં ભ્રમ અને આક્રોશ ફેલાવવાનો અને સામાજિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.