06 January, 2026 07:04 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી જીવ ગુમાવનારા ૮૦ વર્ષના જીવનલાલનાં પત્ની જશોદાબહેને કહ્યું હતું કે અમારી કલ્પનામાં પણ અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમારી રોજિંદી જીવનરેખાનો ભાગ છે એવો પીવાના પાણીનો નળ અમારો ખૂની બનશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પરિવારે નળ માટે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સેલરના ટેકેદારને ૩૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા.
જશોદાબહેનના પતિ જીવનલાલને ઝાડા-ઊલટી થવાથી ૨૮ ડિસેમ્બરે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દૂષિત પાણી પીને જીવ ગુમાવનારા શરૂઆતના લોકોમાં તેઓ એક હતા. જશોદાબહેને કહ્યું હતું કે ‘મારા પતિનો જીવ જેણે લીધો એ પાણી અમે ઘરમાં પી રહ્યાં હતાં. મેં પતિને ગુમાવ્યા છે, મારો દીકરો પણ બીમાર છે અને પૌત્રો પણ બીમાર છે. બધાની તબિયત ખરાબ છે.’