07 April, 2025 09:30 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં વક્ફ સંશોધન બિલ હવે કાયદો બની ચૂક્યો છે ત્યારે આ બિલ સંસદમાં પાસ થતાં જ કેરલાના મુનંબમમાં જમીન વિવાદમાં અટવાયેલા ૫૦ ક્રિશ્ચિયન શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. એર્નાકુલમ જિલ્લાના ચેરાઈ અને મુનંબમ ગામના લોકોએ આરોપ લગાવ્યો છે કે વક્ફ બોર્ડ તેમની જમીનો અને સંપત્તિઓ પર ગેરકાયદે માલિકીનો હક દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે તેમની પાસે રજિસ્ટર્ડ દસ્તાવેજો અને જમીન-કર ચુકવણીની રસીદો છે.
કૅથલિક ચર્ચના જોરદાર સમર્થનથી ગામના નિવાસી છેલ્લા ૧૭૪ દિવસથી પોતાની સંપત્તિઓ પર મહેસૂલ અધિકારો માટે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે જેના પર કથિત રીતે વક્ફ બોર્ડ દાવો કરી રહ્યું છે. તેમને આશા છે કે વક્ફ (સંશોધન) કાયદો આવવાથી વક્ફ બોર્ડના આ જગ્યા પરના દાવાનું સમાધાન નીકળશે.
પ્રદર્શનકારીઓએ BJPના રાજ્ય પ્રમુખ ચંદ્રશેખર પાસે માગણી કરી છે કે તેઓ વડા પ્રધાન મોદી સાથે સીધી મુલાકાત કરાવે, જેનાથી અમે તેમનો આભાર વ્યક્ત કરી શકીએ. લોકોએ BJPના નેતાનું સ્વાગત જોરદાર નારા અને તાળીઓ સાથે કર્યું હતું.