25 May, 2024 09:58 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
રીલ બનાવવા પર પ્રતિબંધ
ચારધામ યાત્રામાં પ્રવાસીઓને મંદિરના ૫૦ મીટર પરિસરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવવા છતાં ભાવિકો માનતા નહીં હોવાથી હવે રીલ બનાવનારા લોકો પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. બુધવારે અને ગુરુવારે ૩૭ ભાવિકોને દંડ ફટકરવામાં આવ્યો હતો. આ સિવાય ૧૫ ભાવિકોના મોબાઇલ ૮ કલાક માટે જપ્ત કરી લેવાયા હતા. મંદિર-પરિસરમાં વિડિયોગ્રાફી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રીલ બનાવનારા ભાવિકો ગુજરાત, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના હતા. પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો રીલ બનાવનારા અને વિડિયોગ્રાફી કરનારા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો દાખલ કરાશે.
યમુનોત્રીમાં શેડ બનશે
યમુનોત્રી ધામમાં જાનકી ચટ્ટીથી યમનોત્રી જવાના રસ્તામાં વરસાદથી બચવા માટે ભાવિકો માટે શેડ બાંધવામાં આવશે. આ ઉપરાંત ખચ્ચરોના આવાગમનનો સમય ફિક્સ કરવામાં આવશે.