30 March, 2026 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ ચાંદિવલીની ૫૮ વર્ષની શાંતિ કોઠારીની મુંબઈ-ગાઝિયાબાદ ફ્લાઇટમાં બૉમ્બ મૂકવામાં આવ્યો હોવાની ચીસો પાડવા અને ઍરપોર્ટ પર અરાજકતા ફેલાવવા બદલ બુધવારે ધરપકડ કરી હતી. ઇમિગ્રેશન અધિકારીઓએ શાંતિ કોઠારીની પૂછપરછ કરી અને વધુ તપાસ માટે તેને સહાર પોલીસને સોંપી દીધી હતી.
આ ઘટના સવારે ૪ વાગ્યે બોર્ડિંગ-ગેટ ૫૧ પર બની હતી. ઇન્ડિગો ઍરલાઇન્સના સિનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ ઑફિસર મુંબઈથી ગાઝિયાબાદ જતી ફ્લાઇટ વિશે ગેટ નંબર ૫૧ પર જાહેરાત કરી રહ્યા હતા. શાંતિ કોઠારીએ એવો દાવો કર્યો હતો કે ઍરપોર્ટની અંદર બૂમો પાડવા બદલ તે ઍરલાઇન એક્ઝિક્યુટિવથી નારાજ થઈ હતી અને એથી તેણે પિત્તો ગુમાવ્યો અને ‘ગાઝિયાબાદ ફ્લાઇટમાં ન જાવ, એમાં બૉમ્બ છે’ એવી બૂમાબૂમ કરવા લાગી હતી. આ બાબત મુંબઈ ઍરપોર્ટ પરની તમામ સિક્યૉરિટી એજન્સીઓને પહોંચાડવામાં આવી હતી. એથી શાંતિ કોઠારીને ફ્લાઇટમાં જતી રોકી દેવામાં આવી હતી અને સહાર પોલીસને સોંપવામાં આવી હતી.