14 August, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ નાર્વેકર
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને મુંબઈના ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતેથી આવતી અને જતી દરેક ટ્રેનમાં ‘છત્રપતિ શિવાજી મહારાજ કી જય’ અને ‘જય ભવાની, જય શિવાજી’ જેવા જયઘોષ બોલાવવાની માગણી કરી છે. પોતાના દિલ્હી પ્રવાસ દરમ્યાન કેન્દ્રીય રેલવેપ્રધાન સાથે મુલાકાત કરીને રાહુલ નાર્વેકરે આ વિશેનો એક પત્ર સોંપ્યો હતો. તેમનો મુખ્ય હેતુ મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય, સ્વરાજ્ય અને લોકકલ્યાણકારી વિચારોનો સંદેશ સમગ્ર દેશમાં પહોંચાડવાનો છે.
શું લખ્યું પત્રમાં?
પોતાના પત્રમાં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે ‘CSMT માત્ર એક રેલવે ટર્મિનસ નથી, પરંતુ શિવાજી મહારાજના રાષ્ટ્રભક્તિ અને ન્યાયી શાસનના વિચારોનું પ્રતીક છે. દેશભરમાં લાખો મુસાફરો અહીંથી મુસાફરી કરતા હોવાથી નિયમિત રેલવે સૂચનાઓ સાથે આ જયઘોષનો સમાવેશ કરવાથી નવી પેઢી સુધી છત્રપતિ શિવાજી મહારાજનાં મહાન કાર્યોની ઓળખ પહોંચશે.’