26 May, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલવેએ મલાડ અને ગોરેગામ વચ્ચે રેલવેની જમીન પર આવેલાં સ્ટ્રક્ચર્સ તોડી પાડ્યાં હતાં.
વેસ્ટર્ન રેલવેએ બાંદરા-ઈસ્ટના ગેરકાયદે ઊભા કરી દેવાયેલા ગરીબનગરનું સફળતાપૂર્વક ડિમોલિશન કર્યા બાદ ગઈ કાલે ગોરેગામ અને મલાડ વચ્ચે રેલવેની જમીન પર ઊભાં કરી દેવાયેલાં સ્ટ્રક્ચર્સ તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોલિશનની કાર્યવાહી ઈસ્ટ સાઇડ કરવામાં આવી હતી. આ કામગીરીનો ઉદ્દેશ કાયમી અને કામચલાઉ બન્ને પ્રકારનાં બાંધકામો દ્વારા લગભગ ૧૫૦૦ ચોરસ મીટર અતિક્રમણ કરાયેલી રેલવેની જમીનને ક્લિયર કરવાનો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝુંબેશમાં ૩૬ પાકાં બાંધકામો અને ૨૪ કાચાં બાંધકામો દૂર કરવાનો સમાવેશ થાય છે. ગઈ કાલે ૨૬ પાકાં બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. ભારે પોલીસ-બંદોબસ્ત સાથે અને મશીનરીની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી.