દીકરો કેવી રીતે મૃત્યુ પામ્યો એનો જવાબ બે મહિનાથી નથી મળ્યો

14 June, 2026 01:16 PM IST  |  Mumbai | Ritika Gondhalekar

એક દંપતીએ આરોપ લગાવ્યો છે કે હૉસ્પિટલના સત્તાવાળાઓએ અમને ૫૦ લાખ રૂપિયાનું વળતર ઑફર કર્યું છે.

અર્ચના પાટીલ તેના પુત્ર શિવાંશ સાથે.

પરેલમાં આવેલી બાળકો માટેની બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલમાં આ વર્ષે માર્ચમાં થયેલા તેમના દીકરાના મૃત્યુનું કારણ જાણવા માટે લડી રહેલા એક દંપતીએ આરોપ લગાવ્યો છે કે હૉસ્પિટલના સત્તાવાળાઓએ અમને ૫૦ લાખ રૂપિયાનું વળતર ઑફર કર્યું છે.

દીકરાના મોતથી વ્યથિત અને એમાં પણ શાને કારણે તેનું મૃત્યુ થયું એની કોઈ જ માહિતી અપાઈ ન હોવાથી દુખી અર્ચના પાટીલે કહ્યું હતું કે ‘અમે છેલ્લા બે મહિનાથી મેડિકલ રેકૉર્ડ, પોસ્ટમૉર્ટમની વિગતો અને કેસની સ્વતંત્ર તપાસ માટે એક ઑફિસથી બીજી ઑફિસમાં દોડાદોડ કરી રહ્યાં છીએ છતાં મૃત્યુનું કારણ નક્કી કરવામાં થઈ રહેલા વિલંબથી અમને દીકરો ગુમાવ્યાનો આઘાત હતો એમાં વધારો થયો છે. જ્યારે તેમણે વળતરની ઑફર કરી ત્યારે મારા પતિએ ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો કે અમે અમારી ખેતીની જમીન વેચીશું અને તમને ૧ કરોડ રૂપિયા આપીશું; શું તમે અમારા દીકરાને પાછો આપી શકશો?’ 

હૉસ્પિટલમાં બાળકનું ૧૦ એપ્રિલે અસ્પષ્ટ સંજોગોમાં મૃત્યુ થયું હતું અને વારંવાર વિનંતીઓ છતાં પરિવારનો દાવો છે કે તેમને હૉસ્પિટલના અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ મળ્યો  નથી. બાળકના પિતાએ કહ્યું હતું કે ‘અમે વળતર માટે નથી લડી રહ્યા, અમે જાણવા માગીએ છીએ કે અમારા પુત્રને શું થયું હતું અને તેનું મૃત્યુ કયા કારણસર થયું.’ 
દંપતીએ કહ્યું હતું કે હૉસ્પિટલના અધિકારીઓએ વળતરની ઑફર સાથે અમારો સંપર્ક કર્યો હતો જેને અમે નકારી કાઢ્યો છે. પરિવારે હવે હૉસ્પિટલ સામે કડક કાર્યવાહીની માગણી કરી છે જેમાં હૉસ્પિટલનું મેડિકલ લાઇસન્સ રદ કરવાનો સમાવેશ છે. હૉસ્પિટલ પર આરોપ કરતાં દંપતીએ કહ્યું હતું કે ‘આ ફક્ત અમારા બાળક વિશે નથી. અમારું માનવું છે કે અન્ય પરિવારો પણ બેદરકારી કે પારદર્શિતાના અભાવે ભોગ બન્યા હશે.’ 

જોકે હૉસ્પિટલના સત્તાવાળાઓએ તેમના તમામ આરોપને નકારી કાઢ્યા છે.

પેરન્ટ્સનો આક્રોશ
તમે ૫૦ લાખનું વળતર આપી રહ્યા છો, અમે તમને અમારી જમીન વેચીને ૧ કરોડ રૂપિયા આપીશું, તમે અમારો દીકરો પાછો લાવી શકશો? 

mumbai news mumbai parel Crime News mumbai crime news mumbai police