11 September, 2026 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વરસાદ સારોએવો પડી ગયો છે અને મુંબઈને પાણી પુરું પાડતાં જળાશયો ૯૬ ટકા ભરાઈ ગયાં છે ત્યારે બધા જ પક્ષોના નગરસેવકોએ ૧૦ ટકા પાણીકાપ હટાવી લેવાની રજૂઆત સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં કરી હતી. જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઍડ્મિનિસ્ટ્રેશને એ માટે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને ચેતવણી આપી હતી કે ૯૬ ટકા પાણીનો સ્ટૉક હોવા છતાં સપ્ટેમ્બર સૂકો જવાનો હોવાથી પાણીનો જથ્થો ઓછો થઈ શકે છે. ઑક્ટોબરના ચાર-પાંચ દિવસ વરસાદથી પાણીનો જથ્થો ફરી ભરાઈ જશે એવી આશા રાખતા સુધરાઈના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે પાણી ફુલ ભરાઈ જાય ત્યાં સુધી કાપ ચાલુ રહેશે.
શિવસેના (UBT)નાં શ્રદ્ધા જાધવે પ્રશ્ન કર્યો હતો કે પાણીકાપ આખરે ક્યારે પાછો ખેંચવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી (BJP)ના કૉર્પોરેટર શિવકુમાર ઝાએ BMC પર ગણેશોત્સવ પહેલાં મુંબઈગરાઓને પાણીની કટોકટીમાં નાખવાનો આરોપ લગાવ્યો હતો.
જોકે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર વિપિન શર્માએ પાણીકાપ દૂર કરવાની માગણીના જવાબમાં જણાવ્યું હતું કે ‘મુંબઈનાં તળાવો હાલમાં ૯૬ ટકા ભરાઈ ગયાં છે, પરંતુ અપેક્ષા કરતાં ઓછો વરસાદ પડ્યો છે અને સપ્ટેમ્બરમાં નબળો વરસાદ રિઝર્વ સ્ટૉક પર પ્રેશર લાવી શકે છે. ઉપલબ્ધ પાણીના સ્ટૉકનું જતન કરવાની અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરૂર છે. BMC ૬૫૦૦ કિલોમીટરના નેટવર્કમાં ૫૫૦૦ કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇનોનું મૅપિંગ કરી રહી છે જેથી રિપ્લેસમેન્ટની જરૂર હોય એવા ભાગોને ઓળખી શકાય. અમે કૂવાઓ, ઝરણાં અને અન્ય કુદરતી પાણીના સ્રોતોને ચકાસવાની રીતોનો પણ અભ્યાસ કરી રહ્યા છીએ.’