18 August, 2025 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉલ્હાસનગરમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી દરદીને ડિસ્ચાર્જ અપાયા બાદ ઘરે પહોંચતાં જ તેણે જીવ ગુમાવ્યો હતો. એથી રોષે ભરાયેલા પરિવારજનોએ હૉસ્પિટલમાં તોડફોડ કરી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ ૫૩ વર્ષના પુરુષને એક અઠવાડિયા અગાઉ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે તેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આાવ્યો હતો. ડિસ્ચાર્જ લઈને ઘરે પહોંચતાં જ આ વ્યક્તિ બેભાન થઈ ગઈ અને થોડી જ વારમાં તેનું મૃત્યુ થયું હતું. દરદીના મૃત્યુ માટે હૉસ્પિટલ અને ડૉક્ટરને દોષ આપીને ગુસ્સે થયેલા પરિવારજનોએ હૉસ્પિટલ માથે લીધી હતી. હૉસ્પિટલમાં પહોંચીને તેમણે ત્યાંનું ફર્નિચર અને મેડિકલનાં સાધનો તોડી નાખ્યાં હતાં. પોલીસે ફરિયાદ મળતાં હૉસ્પિટલ પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં કોઈ ફરિયાદ હજી સુધી નોંધાઈ નથી.