મહર્ષિ દયાનંદ કૉલેજમાં બે મિનિટ મોડા પહોંચેલા NEET-UGના બે ઉમેદવારોને પ્રવેશ ન મળ્યો, ગેટ બંધ થવાથી થયો હંગામો

22 June, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બરાબર ૧.૩૦ વાગ્યે ગાઇડલાઇન્સ મુજબ મેઇન ગેટ લૉક કરી દેવામાં આવ્યો હતો. નિયમ મુજબ ૧.૩૦ વાગ્યા બાદ કોઈને પ્રવેશ આપી શકાતો નથી.

ઉમેદવારો

પરેલમાં આવેલી મહર્ષિ દયાનંદ કૉલેજના એક્ઝામ સેન્ટર પર નિર્ધારિત સમય કરતાં બે મિનિટ મોડા પહોંચેલા નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET)ના બે ઉમેદવારોને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવતાં વાતાવરણ તંગ બની ગયું હતું. નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના કડક નિયમોને આધીન રહીને કૉલેજના પ્રશાસને સમયમર્યાદા પૂરી થતાં જ મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો, જેને પગલે વિદ્યાર્થીઓએ અને તેમના પેરન્ટ્સે સેન્ટરની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. આ બે વિદ્યાર્થીઓ કુર્લા અને ડોમ્બિવલીના હતા. જોકે વિદ્યાર્થીઓનું કહેવું હતું કે દરવાજો નિશ્ચિત સમય કરતાં વહેલો બંધ કરવામાં આવ્યો હતો. એક્ઝામ સેન્ટર પર બપોરે ૧.૨૯ વાગ્યે છેલ્લી જાહેરાત કરવામાં આવી હતી કે ગેટ બંધ થવાને માત્ર એક જ મિનિટની વાર છે. બરાબર ૧.૩૦ વાગ્યે ગાઇડલાઇન્સ મુજબ મેઇન ગેટ લૉક કરી દેવામાં આવ્યો હતો. નિયમ મુજબ ૧.૩૦ વાગ્યા બાદ કોઈને પ્રવેશ આપી શકાતો નથી.

mumbai news mumbai parel neet exam Education