22 May, 2026 02:18 PM IST | Chandrapur | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મહારાષ્ટ્ર (Maharashtra)ના ચંદ્રપુર (Chandrapur) જિલ્લામાં શુક્રવારની સવારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વાઘના હુમલામાં ટીમરુના પાન એકઠા કરી રહેલી ચાર મહિલાઓના મોત નીપજ્યા છે.
ગુંજેવાહી ગામમાં બની ઘટના
આજે સવારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જીલ્લાના એક ગામમાં ચાર મહિલાઓનો જીવ (Tigress Attack in Chandrapur) લઈ લીધો છે.
વન વિભાગના અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના જિલ્લા મુખ્ય મથકથી આશરે ૭૦ કિલોમીટર દૂર આવેલા સિંદેવાહી (Sindewahi) તહસીલના ગુંજેવાહી (Gunjewahi) ગામ નજીક બની છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિલાઓનો એક સમૂહ જંગલ વિસ્તારમાં ટીમરુના પાન એકઠા કરવા માટે ગયો હતો. ટીમરુના પાનનો ઉપયોગ મુખ્યત્વે બીડી બનાવવા માટે કરવામાં આવે છે. તમામ મહિલાઓ જ્યારે જંગલમાં પાન એકઠા કરવાની કામગીરીમાં વ્યસ્ત હતી, બરાબર તે જ સમયે એક વાઘણે તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો. વાઘણના આ હિંસક હુમલામાં ચારેય મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
૧૩ મહિલાઓ જંગલમાં ગઈ હતી, સંતાઈને બેઠેલ વાઘણે કર્યો હુમલો
પ્રાથમિક માહિતી અનુસાર, કુલ ૧૩ મહિલાઓ ટીમરુના પાન એકઠા કરવા માટે જંગલ વિસ્તારમાં ગઈ હતી. આ મહિલાઓ જ્યારે પાન તોડી રહી હતી, ત્યારે ત્યાં જ ઝાડીઓમાં સંતાઈને બેઠેલ એક વાઘણે તેમના પર અચાનક હિંસક હુમલો કરી દીધો હતો.
મૃતકોની ઓળખ
આ હૃદયદ્રાવક ઘટનામાં જીવ ગુમાવનારી ચારેય મહિલાઓની ઓળખ થઈ ગઈ છે. મૃતક મહિલાઓમાં કાવડાબાઈ મોહુર્લે (ઉંમર ૪૫ વર્ષ), અનિતાબાઈ મોહુર્લે (ઉંમર ૪૦ વર્ષ), સુનીતા મોહુર્લે (ઉંમર ૩૮ વર્ષ) અને સંગીતા ચૌધરી (ઉંમર ૫૦ વર્ષ) નો સમાવેશ થાય છે. આ તમામ મહિલાઓ ગુંજેવાહી ગામની જ રહેવાસી હતી.
હુમલાની વિગતો અંગે હજુ અસ્પષ્ટતા, વન વિભાગની ટીમ ઘટનાસ્થળે રવાના
જોકે, હાલમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે વાઘે આ તમામ મહિલાઓને એક જ સમયે અને એક જ જગ્યાએ પોતાની શિકાર બનાવી કે પછી અલગ-અલગ સ્થળોએ તેમના પર હુમલો કર્યો હતો. આ અંગેની સત્તાવાર વિગતો તપાસ બાદ જ સામે આવશે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગ (Forest Department)ના અધિકારીઓની એક ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મુખ્ય વન સંરક્ષક (ચંદ્રપુર સર્કલ) આર. એમ. રામાનુજનના જણાવ્યા અનુસાર, વન વિભાગના અધિકારીઓ હાલ ઘટનાસ્થળે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સમગ્ર મામલાનો `પંચનામો` પૂર્ણ થયા બાદ જ આ ઘટના અંગે વધુ વિગતો અને સ્પષ્ટ માહિતી સામે આવી શકશે.
ગ્રામજનોમાં ગભરાટ
આ ઘટનાના પગલે જંગલ સરહદે આવેલા ગામોના લોકોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
તેમજ, ટીમરુના પાન સંગ્રહની મોસમ દરમિયાન પેટ્રોલિંગ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે અને રહેવાસીઓને એકલા જંગલોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ એવો વિસ્તાર છે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. હાલ મહારાષ્ટ્ર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર પરિસ્થિતિ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે.