ઘાટકોપરમાં એક દિવસમાં થયેલા ત્રણ ઍક્સિડન્ટમાં ત્રણનાં મૃત્યુ

06 June, 2023 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ તમામ ઘટનાની નોંધ કરી પંતનગર પોલીસે તપાસ હાથ ધરી છે

અકસ્માતનું દ્રશ્ય

ઘાટકોપરમાં રહેતી ૨૭ વર્ષની એક મહિલા પતિ સાથે ચાલી રહેલા ડિવૉર્સ-કેસના કામસર માનેલા ભાઈની મોટરસાઇકલ પર જઈ રહી હતી ત્યારે બાજુમાંથી પસાર થતી ટ્રકની અડફેટમાં આવતાં અકસ્માતનો ભોગ બની હતી. હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. અન્ય બે અકસ્માતમાં ૨૪ વર્ષના અને ૨૬ વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું. આ તમામ ઘટનાની નોંધ કરી પંતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘાટકોપરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષની પૂજા ગુપ્તા રવિવારે સાંજે માનેલા ભાઈ અમિત સાહૂ સાથે ઍડ્વોકેટને મળવા મોટરસાઇકલ પર બાંદરા કોર્ટ જઈ રહી હતી એ દરમ્યાન એનઆર નાર્વેકર માર્ગ પરથી પસાર થતી વખતે બાજુમાંથી પસાર થતી ટ્રકે પૂજાની મોટરસાઇકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું.

અન્ય અકસ્માતમાં રવિવારે વહેલી સવારે ઘાટકોપરમાં રહેતો ૨૭ વર્ષનો  ચિન્મય શિંદે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો ત્યારે થયેલા અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.
ત્રીજા અકસ્માતમાં ઘાટકોપરના રમાબાઈ નગરમાં રહેતો ૨૬ વર્ષનો પ્રદીપ ઘાગરે ડમ્પરની અડફેટમાં આવતાં મૃત્યુ પામ્યો હતો.

પંતનગરના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ ત્રણે અલગ કેસ નોંધીને અમે તપાસ હાથ ધરી છે. એક ઘટનામાં મોટરસાઇકલ ચલાવનાર પોતાની બેદરકારથી મૃત્યુ પામ્યો છે એટલે તેની સામે જ અમે ગુનો નોંધ્યો છે અને અન્યની તપાસ હાથ ધરી છે.

mumbai mumbai news ghatkopar road accident