10 June, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકાર દ્વારા રજિસ્ટ્રેશન, લાઇસન્સિંગ ઉપરાંત ભૂગર્ભ જળ કાઢવા બાબતે લદાયેલા સખત નિયમના વિરોધમાં મુંબઈ વૉટર ટૅન્કર અસોસિએશન (MWTA) દ્વારા પાડવામાં આવેલી હડતાળ મંગળવારે પાછી ખેંચવામાં આવી હતી. MWTAની કમિટીના સભ્ય સંદીપ માંઢરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારું પ્રતિનિધમંડળ મંગળવારે મુંબઈના કલેક્ટર સૌરભ કટિયારને મળ્યું હતું અને તેમણે MWTAના પ્રશ્નો કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું એને પગલે મુંબઈગરાઓને હડતાળને કારણે થઈ રહેલી તકલીફને જોતાં અમે હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. એ સિવાય હાલમાં જે રીતે
વૉટર-ટૅન્કરના માલિકો પર કાર્યવાહી કરવામાં આવતી હતી એ રોકવાનું પણ આશ્વાસન અપાયું છે.’ ઉલ્લેખનીય છે કે વૉટર-ટૅન્કરની હડતાળની અસર સ્પષ્ટ દેખાવા માંડી હતી અને રેલવે-પ્રશાસન ઉપરાંત ઉપનગરો અને શહેર વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીઓ પાણીની તંગીનો સામનો કરી રહ્યાં હોવાનું દૃશ્ય જોવા મળ્યું હતું.