ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિનું કરવામાં આવશે નવનિર્માણ

16 August, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભ્ય પરાગ શાહના માર્ગદર્શન હેઠળ એેક એકરથી વધુ વિશાળ જમીન પર મુંબઈની સૌથી અત્યાધુનિક, પ્રદૂષણમુક્ત અને તમામ ધાર્મિક સુવિધાઓ ધરાવતી સ્મશાનભૂમિ બનશે

ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહ

ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિની કાયાપલટ થવા જઈ રહી છે. સોમૈયા ગ્રાઉન્ડની બાજુમાં સ્મશાનભૂમિને સંલગ્ન આવેલી જમીન પર, હાલની સ્મશાનભૂમિથી ત્રણ ગણી મોટી એટલે કે એક એકરથી વધુ વિશાળ જગ્યા પર મુંબઈની સૌથી અત્યાધુનિક, સુવિધાજનક અને સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત સ્મશાનભૂમિનું નવનિર્માણ કરવામાં આવશે.
નવનિર્મિત હિન્દુ સ્મશાનભૂમિમાં પર્યાવરણને અનુકૂળ હોય એવી ૩ અત્યાધુનિક CNG ભઠ્ઠીઓનું નિર્માણ થશે. એ ઉપરાંત પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લાકડાથી અગ્નિસંસ્કાર કરવા માટે ૪ ભઠ્ઠીઓની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ હિન્દુ સ્મશાનભૂમિમાં સાધુ-સંત-મહાત્માઓના સન્માનજનક અંતિમ સંસ્કાર માટે પણ વિશેષ જગ્યા ફાળવવામાં આવી છે. અેની સાથે-સાથે પાળેલાં પશુ-પક્ષીઓના અગ્નિસંસ્કાર માટે પણ અલગથી CNG ભઠ્ઠીની જોગવાઈ કરવામાં આવી છે. બાળમરણના સંજોગોમાં ધાર્મિક પરંપરાઓ મુજબ દફનભૂમિ માટેની પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમૈયા ટ્રસ્ટના સાથસહકારથી ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિ કમિટી દ્વારા આ અદ્યતન અને સુવિધાજનક હિન્દુ સ્મશાનભૂમિના નવીનીકરણનું કાર્ય આકાર પામી રહ્યું છે જેની સત્તાવાર જાહેરાત આજે પરાગભાઈના જન્મદિવસે આયોજિત ઘાટકોપર સેવા સન્માન સમારોહમાં થશે.
ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિ કમિટી દ્વારા સમગ્ર ઘાટકોપરના સર્વ નાગરિકોને ઇચ્છા અને શક્તિ અનુસાર સાથ-સહકાર આપવાનું જાહેર આહ્‍‍વાન કરાયું છે. આ ભગીરથ કાર્યમાં સહયોગ આપવા ઇચ્છુક લોકો ટ્રસ્ટના નીચે પ્રમાણેના બૅન્ક-અકાઉન્ટમાં આર્થિક યોગદાન આપી શકશે.

આ નવનિર્મિત હિન્દુ સ્મશાનભૂમિમાં દેશ-વિદેશમાં વસતા સંબંધીઓ પોતાના સ્વજનના અંતિમ સંસ્કારમાં ઑનલાઇન જોડાઈ શકે એ માટે લાઇવ ટેલિકાસ્ટ સેટઅપની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

અંતિમ યાત્રામાં જોડાતા સ્વજનો માટે પૂરતી પાર્કિંગની અનુકૂળ વ્યવસ્થા સાથેની આ અત્યાધુનિક હિન્દુ સ્મશાનભૂમિમાં મરણોત્તર ધાર્મિક વિધિઓ માટે પૂજા રૂમ અને પ્રાર્થનાસભા માટે ખાસ કમ્યુનિટી રૂમ પણ બનાવવામાં આવશે.

બૅન્ક-અકાઉન્ટની વિગત
• નામ : ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિ કમિટી
• બૅન્ક : SVC Co-Operative Bank Ltd. ઘાટકોપર બ્રાન્ચ,
• Account Number :  105303130000921
• IFSC code: SVCB0000053

ઘાટકોપર જનસંકલ્પ સમિતિ દ્વારા આજે કીર્તિદાન ગઢવીના લોકડાયરા સાથે ઘાટકોપર સેવા સન્માન સમારોહનું આયોજન
ઘાટકોપર જનસંકલ્પ સમિતિ દ્વારા વિધાનસભ્ય પરાગ શાહના ૫૭મા જન્મદિવસ નિમિત્તે જનસેવા, સમાજસેવા અને સમર્પણની પ્રેરણાદાયી યાત્રાને વંદન કરતા વિશિષ્ટ અવસર ‘ઘાટકોપર સેવા સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે ૭ વાગ્યે આરાધ્ય ભક્તિ પાર્ક, હૉકી ગ્રાઉન્ડ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી તેમની આગવી શૈલીમાં લોકડાયરો રજૂ કરશે. આ અવસરે પરાગભાઈની રજતતુલા પણ કરવામાં આવશે અને એની સમગ્ર રકમ નવનિર્મિત હિન્દુ સ્મશાનભૂમિના નવીનીકરણના કાર્યમાં ઉપયોગ લેવામાં આવશે.
આ અવસરે ઘાટકોપર જનસંકલ્પ સમિતિ દ્વારા સર્વ સમાજના આગેવાનો, મહાનુભાવો, વડીલો, યુવાનો તથા જનજનને સહપરિવાર પધારવાનું હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. 

mumbai news mumbai ghatkopar bhartiya janta party bjp bharatiya janata party